પોતાનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા દરેક વ્યક્તિ ઘર બનાવવા કે લેવા માટે પ્રયત્ન કરતો હોય છે. એક દેશમાં રિયલ એસ્ટેટ કંપનીઓ ઘર (Home) ખરીદવા એવી ઓફર્સ આપી રહી છે, જેને સાંભળીને તમે દંગ રહી જશો. જો તમને કોઈ કહે કે તમે તરબૂચ કે લસણ જેવા ફળ-શાકભાજી આપીને ઘર ખરીદી શકો છો તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? આજથી 20-25 વર્ષ પહેલાં ભારતમાં મોટાભાગના લોકો વિનિમય સાથે પરિચિત હતા. ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં તે હજુ પણ પ્રચલિત છે. સાદી ભાષામાં વિનિમયમાં એટલે કંઈક વસ્તુ આપીને બીજી વસ્તુ ખરીદવામાં આવે. તેમાં ચલણનું કોઈ કામ નથી. તે સમય જતાં સમાપ્ત થયુ. પરંતુ આ એક દેશની રિયલ એસ્ટેટ કંપનીઓમાં (Real Estate Offer) આ પ્રથા પાછી લાગી છે. જેની ઓફર હાલ વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ કેમ આવું કરવાની જરુર પડી.
આ વાત ચીનની છે. ત્યાંની રિયલ એસ્ટેટ કંપનીઓ ચીનના પ્રોપર્ટી માર્કેટને વેગ આપવા માટે આ ઓફર લાવ્યુ છે. ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓ લાંબા ગાળાની આર્થિક મંદીનો સામનો કરી રહી છે. અહીં પ્રોપર્ટી ડેવલપર્સ ખરીદદારોને આકર્ષવા માટે ઘર ખરીદવા રોકડને બદલે તરબૂચ, લસણ અને અન્ય કૃષિ પેદાશોના રૂપમાં ચુકવણી સ્વીકારવા તૈયાર છે. અહેવાલ મુજબ ત્યાંની મોટાભાગની રિયલ એસ્ટેટ કંપનીઓ ખરીદદારોને આવી ઓફર આપી રહી છે.
ચીની મીડિયાના અહેવાલ અનુસાર પૂર્વીય શહેર નાનજિંગમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ જણાવ્યું હતું કે તે સ્થાનિક ખેડૂતો પાસેથી 1,00,000 યુઆન સુધીના તરબૂચને ઘરના ડાઉન પેમેન્ટ તરીકે સ્વીકારશે. હોમ બિલ્ડર સેન્ટ્રલ ચાઈના મેનેજમેન્ટે આ વર્ષના મેના અંતમાં સોશિયલ મીડિયા પર એક જાહેરાત મૂકી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે “લસણની નવી સીઝનના અવસર પર કંપની ખેડૂતો માટે ઘર ખરીદવા માટે મોટી ઓફર લઈને આવી છે.
વુક્સી શહેરમાં અન્ય એક રિયલ એસ્ટેટ કંપની બટાકાને પેમેન્ટ તરીકે લઈ રહ્યો છે. મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં લસણનું ઉત્પાદન કરતા મુખ્ય પ્રદેશ ક્વિ કાઉન્ટીમાં ઘર ખરીદનારાઓ તેમની ડાઉન પેમેન્ટના ભાગની પતાવટ કરવા માટે બજાર કિંમતના ત્રણ ગણા ભાવે તેમની પેદાશોનું વિનિમય કરી શકે છે.
સત્તાવાર માહિતી અનુસાર ફ્લોર એરિયાના પેરામીટરના આધારે ચીનમાં ઘરના વેચાણનો ગ્રાફ સતત 11 મહિના સુધી ઘટ્યો છે. જો આ વર્ષના મે મહિનાના આંકડાની સરખામણી મે 2021ના આંકડા સાથે કરીએ તો તેમાં 31.5 ટકાનો ઘટાડો થયો છે. ચીનમાં હાઉસિંગ માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટી રહ્યું છે. તેની પાછળનું કારણ અર્થવ્યવસ્થામાં મંદી, આર્થિક કટોકટી અને પ્રોજેક્ટ પર બાંધકામ શરૂ કરતા પહેલા સિક્યોરિટી જમા કરાવવા જેવા નિર્ણયો છે. આ પરિસ્થિતીમાંથી બહાર આવવા આવી ઓફર આપવામાં આવી રહી છે.