
મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ જ્યારે ફોન હેંગ થાય ત્યારે તેને બંધ કરીને ચાલુ કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોબાઈલ કંપનીઓ ‘પાવર ઓફ’ અને ‘રીસ્ટાર્ટ’ એમ બે અલગ વિકલ્પો કેમ આપે છે? જો બંનેનું કામ ફોનને બંધ કરવાનું જ હોય તો એક જ ઓપ્શન કેમ નથી હોતો? આ પાછળ એક ખાસ તકનીકી લોજિક છુપાયેલું છે.
તકનીકી દ્રષ્ટિએ જોઈએ તો પાવર ઓફ અને રીસ્ટાર્ટ બંને પ્રક્રિયામાં ફોનની તમામ બેકગ્રાઉન્ડ પ્રોસેસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જોકે, મુખ્ય તફાવત બેટરી અને સમયનો છે. જ્યારે તમે ફોનને ‘પાવર ઓફ’ કરીને ફરીથી મેન્યુઅલી ચાલુ કરો છો, ત્યારે ફોનનું હાર્ડવેર અને સોફ્ટવેર શૂન્યથી શરૂ થાય છે, જેમાં બેટરીનો વપરાશ વધુ થાય છે. બીજી તરફ, ‘રીસ્ટાર્ટ’ પ્રોસેસ ઝડપી છે અને તે ફોનની સ્મૂધ પરફોર્મન્સ માટે પૂરતી છે.
લોકોમાં એવી માન્યતા છે કે પાવર ઓફ કરવાથી ફોન વધુ સારી રીતે ‘ક્લીન’ થાય છે, પરંતુ હકીકતમાં રીસ્ટાર્ટ અને પાવર ઓફ બંને મેમરીને સમાન રીતે સાફ કરે છે. પાવર ઓફ કરવાથી માત્ર હાર્ડવેરને સંપૂર્ણ આરામ મળે છે.
આમ, જો તમારો ફોન સામાન્ય રીતે હેંગ થતો હોય તો માત્ર રીસ્ટાર્ટ જ કરો, કારણ કે વારંવાર પાવર ઓફ કરીને ઓન કરવાથી બેટરી પર વધુ દબાણ આવે છે.