Wriddhiman Saha: તાજેતરમાં રિદ્ધિમાન સાહા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે બંગાળ ક્રિકેટ ટીમ (Bengal Cricket Team) સાથેના સંબંધો તોડી નાખ્યા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીએ આની જાહેરાત કરી હતી અને હવે સાહાએ પોતે જ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. આ બધો વિવાદ એટલા માટે થયો હતો કારણ કે CAB અધિકારીએ સાહા (Wriddhiman Saha)ની પ્રતિબદ્ધતા પર સવાલો ઉઠાવ્યા હતા અને આ બાબત આ વિકેટકીપર-બેટ્સમેને ખૂબ દુ:ખ થયું હતું. તેણે IPL-2022ની વચ્ચે બંગાળની ટીમ છોડવાનો નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે તે રણજી ટ્રોફી નોક આઉટમાં બંગાળની ટીમ સાથે નહીં રમે. સાહાએ કહ્યું છે કે આ બધી બાબતોમાંથી પસાર થવું તેના માટે ખૂબ જ પીડાદાયક રહ્યું છે.
તેણે કહ્યું, મારા માટે પણ આ ખૂબ જ ખરાબ વાત છે કે આટલા લાંબા સમય સુધી બંગાળ માટે રમ્યા બાદ મારે આ બધી બાબતોમાંથી પસાર થવું પડ્યું. તે ખૂબ જ નિરાશાજનક છે કે લોકો આવી ટિપ્પણી કરે છે અને તમારી પ્રતિબદ્ધતા પર પ્રશ્ન કરે છે. એક ખેલાડી તરીકે મેં ભૂતકાળમાં આવી વસ્તુઓ જોઈ નથી, પરંતુ હવે તે થઈ રહ્યું છે. મારે હવે આગળ વધવું પડશે.”
સાહાએ કહ્યું છે કે તેણે આ અંગે CAB પ્રમુખને ફોન પર જાણ કરી હતી, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે ફરી એકવાર તેમની સાથે મુલાકાત કરશે અને વાત કરશે. સાહાએ કહ્યું “જ્યારથી મેં મારું મન બનાવી લીધું છે કે હું બંગાળ માટે નહીં રમીશ, મેં CAB પ્રમુખ અભિષેક દાલમિયાને ફોન પર આ વિશે જાણ કરી છે. પરંતુ હું તેમને અંગત રીતે મળીશ અને જે કંઈ ઔપચારિકતા હશે તે પૂરી કરીશ.
સાહા હવે રણજી ટ્રોફીના નોકઆઉટમાં દેખાશે નહીં, પરંતુ તેણે હજુ નક્કી કર્યું નથી કે તે આગામી સિઝન માટે કઈ ટીમમાં રમશે. સાહાએ કહ્યું છે કે તે ઘણા લોકો સાથે વાતચીત કરી રહ્યો છે. તેણે કહ્યું “મેં ઘણા લોકો સાથે વાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી સિઝનમાં હજુ ઘણો સમય છે.” સાહાએ 2007માં બંગાળ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે બંગાળ માટે 122 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને 6,423 રન બનાવ્યા. લિસ્ટ-એમાં તેણે બંગાળ માટે 102 મેચ રમી છે અને 2,762 રન બનાવ્યા છે. સાહાએ તાજેતરમાં નવી નવી ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે IPL-2022નું ટાઇટલ જીત્યું છે.