
હાલમાં ભારતીય ફૂટબોલની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી, પરંતુ દેશમાં આ રમત પ્રત્યેના પ્રેમમાં કોઈ ઘટાડો થયો નથી. ભારતમાં ફૂટબોલ ચાહકો સતત વધી રહ્યા છે, જેમાં યુરોપિયન ફૂટબોલ જોનારાઓની કોઈ કમી નથી. આ જ કારણ છે કે ઘણા મોટા ફૂટબોલ સ્ટાર્સ પણ હવે ભારત આવી રહ્યા છે. લિયોનેલ મેસ્સી 2025ના અંતમાં ભારત આવવાનો છે અને હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ભારત આવવાની આશા વધી ગઈ છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક મોટી ટુર્નામેન્ટ માટે ભારત આવી શકે છે, જેમાં રોનાલ્ડોની ટીમ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ટીમનો સામનો કરશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ક્લબ અલ નાસર અને ભારતના એફસી ગોવાને AFC ચેમ્પિયન્સ લીગમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. એવામાં બંને ટીમો વચ્ચે એક મેચ ગોવામાં રમાશે.
શુક્રવાર, 15 ઓગસ્ટના રોજ, AFCએ એશિયન ચેમ્પિયન્સ લીગ-2 ના ચાર ગ્રુપ માટે ટીમોની જાહેરાત કરી. ઈન્ડિયન સુપર લીગમાં રમનારી FC ગોવા પણ ભારત તરફથી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ચાહકો ઈચ્છતા હતા કે રોનાલ્ડોની ટીમ અલ નાસર અને FC ગોવાને એક જ ગ્રુપમાં રાખવામાં આવે જેથી તેમને આ પોર્ટુગીઝ સુપરસ્ટારને પહેલીવાર ભારતમાં રમતા જોવાની તક મળે. ભારતીય ચાહકોની આ ઈચ્છા પણ પૂર્ણ થઈ.
AFC ચેમ્પિયન્સ લીગ અને ચેમ્પિયન્સ લીગ-2 માટેના ડ્રો મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં યોજાયા હતા, જેમાં સાઉદી અરેબિયન ક્લબ અલ નાસર અને એફસી ગોવાને ગ્રુપ Dમાં એકસાથે મૂકવામાં આવ્યા છે. સાઉદી પ્રો લીગમાં રમનારી અલ નાસર અને ISLનો ભાગ રહેલી એફસી ગોવાની સાથે, ઈરાકની અલ જારવા અને તાજિકિસ્તાનની ઈસ્તિકોલોલ દુશાંબેને પણ આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ, એક ગ્રુપમાં દરેક ટીમ અન્ય બધી ટીમો સાથે 2-2 મેચ રમશે, જેમાંથી એક મેચ તેમના હોમ ગ્રાઉન્ડમાં અને બીજી વિરોધી ટીમના ગ્રાઉન્ડમાં રમાશે. આ રીતે, એફસી ગોવા અને અલ નાસર વચ્ચે એક મેચ સાઉદી અરેબિયામાં થશે, જ્યારે બીજી મેચ ગોવામાં થશે. આનો અર્થ એ છે કે રોનાલ્ડોના ક્લબને ભારત આવવું પડશે અને ભારતીય ચાહકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે.
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર વિરાટ કોહલી એફસી ગોવાનો સહ-માલિક છે. કોહલી પણ રોનાલ્ડોનો મોટો ફેન છે અને તેથી જ બંને સ્ટાર્સના ભારતીય ફેન્સ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ચાહકોના મનમાં એક પ્રશ્ન હજુ પણ રહેશે કે શું રોનાલ્ડો ભારતમાં યોજાનારી મેચમાં ભાગ લેવા આવશે કે પછી તે ફક્ત તેના ઘરેલુ મેચમાં જ રમશે. આ નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે. હાલમાં, ભારતીય ચાહકો ફક્ત આશા સાથે રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: ભારતના 79માં સ્વતંત્રતા દિવસ પર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ સૈનિકોને આ રીતે કરી સલામ