રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે

રિદ્ધિમાન સાહાએ પોતાની પસંદગીને લઇને કોચ રાહુલ દ્રવિડ, પસંદગીકર્તા ચેતન શર્મા અને અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે થયેલી વાતચીત જાહેર કરી દીધી હતી.

રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે
Wriddhiman Saha (File Photo)
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:18 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) થી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થયા બાદ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પર કરવામાં આવેલી ટિપ્પણી માટે સ્પષ્ટીકરણની માંગ કરશે. કારણ કે બોર્ડને લાગે છે કે બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ આધારીત ખેલાડી હોવાના કારણે તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

તમને જણાવી દઇએ કે 37 વર્ષના રિદ્ધિમાન સાહાને જ્યારે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં લેવામાં ન આવ્યો ત્યારે તેણે કોચ રાહુલ દ્રવિડ અને બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ચીફ સિલેક્ટર ચેતન શર્મા સાથે થયેલી વાતચીતને જાહેર કરી હતી.

બોર્ડના વાર્ષિક કરાર હેઠળ ગ્રુપ બીમાં આવનાર રિદ્ધિમાન સાહાએ બોર્ડના નિયમ 6.3 ના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ પ્રમાણે કોઇ પણ ખેલાડી રમત, અધિકારીઓ, રમતમાં થયેલ ઘટનાઓ, પસંદગી મામલા કે રમત સંબંધી કોઇ પણ બાબતને મીડિયા સમક્ષ આવી ટીપ્પણી નહીં કરી શકે. જો બીસીસીઆઈને આ અંગે ખ્યાલ આવશે કે આવી કોઇ ઘટના સામે આવી તો તે ખેલાડી સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

મહત્વનું છે કે રિદ્ધિમાન સાહાએ પોતાની પસંદગીને લઇને રાહુલ દ્રવિડ, પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા અને સૌરવ ગાંગુલીની સાથે થયેલ ખાનગી વાતચીતનો ખુલાસો જાહેરમાં કરી દીધો હતો. બીસીસીઆઈના કોષાઅધ્યક્ષ અરૂણ ધુમને ન્યુઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, “હા, એવી સંભાવના છે કે બીસીસીઆઈ રિદ્ધિમાન સાહાથી પુછશે કે બોર્ડના વાર્ષિક કોન્ટ્રાક્ટ હેઠળ હોવા છતાં તેણે આવી તમામ બાબતો જાહેર કેમ કરી?

તમને જણાવી દઇએ કે રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ સીરિઝમાં પસંદગી કરવામાં આવી નથી. તેની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં આંધ્ર પ્રદેશના યુવા વિકેટકીપર બેટ્સમેન કે. એસ. ભરતને રિઝર્વ વિકેટ કીપરના રૂપમાં લેવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમ ઇન્ડિયામાં યુવા ક્રિકેટર રિષભ પંતનું નામ મોખરે છે.

આ પણ વાંચો :IPL 2022: 5 ટીમો વચ્ચે બે ગ્રુપ બનાવવામાં આવ્યા, દરેક ટીમ 14 લીગ મેચ રમશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો : બુમરાહ અને હર્ષલ પટેલની જોડી ઘણી જબરદસ્ત રહેશેઃ ઝહીર ખાન