
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે TV9ના સત્તા સંમેલનમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા હતા. TV9 સ્ટેજ પર અર્શદીપ સિંહે ન માત્ર પોતાના લગ્ન વિશે વાત કરી, પરંતુ એ પણ જાહેર કર્યું હતું કે તે કોનાથી સૌથી વધુ ડરે છે: તેની ગર્લફ્રેન્ડ કે ગૌતમ ગંભીર. અર્શદીપ સિંહે ભારતીય ટીમના તેના સાથી અક્ષર પટેલ સાથે TV9 સ્ટેજ શેર કર્યું હતું.
સત્તા સંમેલન દરમિયાન અર્શદીપ સિંહને પૂછવામાં આવ્યું કે તે કોનાથી સૌથી વધુ ડરે છે : તેની ગર્લફ્રેન્ડથી કે હેડ કોચ ગૌતમ ગંભીરથી. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે બંનેમાંથી કોઈનું નામ લીધું ન હતું. તેના બદલે અર્શદીપ સિંહે કહ્યું કે તે ફક્ત ભગવાનથી ડરે છે.
અર્શદીપ સિંહે હોરર ફિલ્મ જોવાનો પોતાનો અનુભવ આગળ શેર કર્યો હતો. સત્તા સંમેલનમાં તેણે કહ્યું કે જ્યારે તમે હોરર ફિલ્મ જોઈ રહ્યા છો, ત્યારે તમે એકલા નથી હોતા. તમારી સાથે બે કે ત્રણ અન્ય લોકો હાજર હોય છે, પરંતુ તેઓ દેખાતા નથી.
ચર્ચા દરમિયાન અર્શદીપ સિંહને લગ્ન વિશેના તેના વિચારો વિશે પણ પૂછવામાં આવ્યું. જવાબમાં, તેણે કહ્યું કે તે ઓછામાં ઓછા ત્રણ કે ચાર વર્ષ સુધી લગ્ન નહીં કરે. તેણે આ વિશે તેના પિતાને પણ કહ્યું છે. તેણે કહ્યું, “મેં મારા પિતાને કહ્યું હતું કે જો તેઓ મારા ચહેરા પર સ્માઈલ ઈચ્છતા હોય, તો તેમણે લગ્ન વિશે વાત ન કરવી જોઈએ.”
અર્શદીપ સિંહે પોતાની મોબાઈલ ફોનની આદત વિશે પણ વાત કરી. તેણે કહ્યું, “અક્ષર ભાઈ મને મોબાઈલ ફોનને વધુ પડતું જોવાની મનાઈ કરે છે.” આ આદતનો ઉલ્લેખ કરતા, તેણે બાળકોને સલાહ આપી કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ અનિચ્છનીય છે અને તેને ટાળવો જોઈએ.