
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નવા પ્રમુખની શોધમાં છે. હકીકતમાં, 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીએ 70 વર્ષના થયા પછી રાજીનામું આપી દીધું છે. બિન્ની ઓક્ટોબર 2022 થી BCCI પ્રમુખ હતા. દરમિયાન, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર આ પદ સંભાળી શકે છે. પરંતુ સચિન તેંડુલકરે આગામી BCCI પ્રમુખ માટે તેમના નામ અંગેની ચર્ચાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
સચિન તેંડુલકરની મેનેજમેન્ટ કંપનીએ એક નિવેદન બહાર પાડીને રહસ્યનો ખુલાસો કર્યો છે. સચિનની કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, ‘અમને જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ પદ માટે સચિન તેંડુલકરના નામ પર વિચારણા અથવા નામાંકન અંગે કેટલાક સમાચાર અને અફવાઓ ફેલાઈ રહી છે. અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે આવું કંઈ થયું નથી. અમે તમામ સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ પાયાવિહોણી અટકળો પર ધ્યાન ન આપે.’
SRT Sports Management confirms that the rumours about Sachin Tendulkar becoming the next BCCI President are fake. ❌#Cricket #BCCI #Sachin #Sportskeeda pic.twitter.com/AWTdSi3oqX
— Sportskeeda (@Sportskeeda) September 11, 2025
સચિન તેંડુલકરે પોતાના 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ભારતને ઘણી યાદગાર જીત અપાવી હતી, પરંતુ તે હંમેશા ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનથી અંતર રાખવાના પક્ષમાં રહ્યો છે. તેના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હશે, પરંતુ આગામી પ્રમુખની પસંદગીને લઈને ચર્ચાઓ તેજ બની રહી છે. BCCIની ચૂંટણી ભારતીય ક્રિકેટની દિશા નક્કી કરશે, અને આની અસર વૈશ્વિક સ્તરે પણ પડશે.
તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2025 ના અંતમાં યોજાનારી BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં નવા પ્રમુખની ચૂંટણી એક મુખ્ય મુદ્દો હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેના આગામી પ્રમુખ તરીકે એક મોટા ભારતીય ક્રિકેટરની શોધમાં છે. BCCIના ઘણા હિસ્સેદારો ઈચ્છે છે કે નવા પ્રમુખ એક ભૂતપૂર્વ ક્રિકેટર હોય જેમણે ભારતીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. બિન્ની પહેલા, સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ કેપ્ટન આ પદ સંભાળી ચૂક્યા છે.
આ પણ વાંચો: Asia Cup 2025 : ટીમ ઈન્ડિયા અર્શદીપ સિંહ માટે આ ખેલાડીને બહાર કરશે? પાકિસ્તાન સામે પ્લેઈંગ 11 માં કોને મળશે સ્થાન?