આખે આખા 2 વર્લ્ડ કપ દાવ પર ! ટીમ ઈન્ડિયાના કેપ્ટન જ બની રહ્યા છે સમસ્યા ? જાણો કારણ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનો, સૂર્યકુમાર યાદવ અને આયુષ મ્હાત્રે, બંને વર્લ્ડ કપ પહેલાં નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. અંડર-19 અને સિનિયર ટી20 વર્લ્ડ કપમાં ભારત ટાઇટલ દાવેદાર હોવા છતાં, કેપ્ટનોનું બેટ શાંત રહેવું ચિંતાજનક છે.

આખે આખા 2 વર્લ્ડ કપ દાવ પર ! ટીમ ઈન્ડિયાના કેપ્ટન જ બની રહ્યા છે સમસ્યા ? જાણો કારણ
| Updated on: Dec 21, 2025 | 9:18 PM

જો કેપ્ટન આવો જ રહેશે તો પરિસ્થિતિ કેવી રહેશે? બે વર્લ્ડ કપ દાવ પર છે અને ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે. નવું વર્ષ શરૂ થવાની સાથે જ ક્રિકેટ જગતમાં સતત મોટી ટુર્નામેન્ટ્સ રમાવાની છે, જેમાં ભારતીય ટીમ બંને વર્લ્ડ કપમાં ટાઇટલ દાવેદાર તરીકે ઉતરશે. જોકે, આ મહાન મંચો પહેલાં જ ટીમના કેપ્ટનનું નબળું પ્રદર્શન સૌથી મોટી સમસ્યા બનીને સામે આવી રહ્યું છે.

2026 વર્ષ ભારતીય ક્રિકેટ માટે અત્યંત મહત્વનું સાબિત થવાનું છે. જાન્યુઆરીમાં અંડર-19 મેન્સ વર્લ્ડ કપથી શરૂઆત થશે, ત્યારબાદ ફેબ્રુઆરીમાં મેન્સ ટી-20 વર્લ્ડ કપ રમાશે. બંને ટુર્નામેન્ટમાં ભારતની ટીમ મજબૂત દાવેદાર માનવામાં આવે છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી બંને ફોર્મેટમાં ટીમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પરંતુ વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલા જ કેપ્ટનનું સતત નિષ્ફળ રહેવું ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા ઊભી કરી રહ્યું છે.

ફાઈનલ પહેલા ટીમનું પ્રદર્શન શાનદાર

રવિવાર, 21 ડિસેમ્બરે ભારતીય અંડર-19 ટીમ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે પરાજિત થઈ હતી. આ એ જ ટીમ છે જે આગામી મહિને અંડર-19 વર્લ્ડ કપ રમવાની છે. ફાઈનલ પહેલા ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને મોટાભાગના ખેલાડીઓએ સારો ફોર્મ બતાવ્યો હતો. તેથી એક ફાઈનલ હારને કારણે ટીમના ભવિષ્ય પર સવાલ ઉઠાવવાની જરૂર નથી. જોકે, આ મેચમાં કેપ્ટન આયુષ મ્હાત્રેની ફરી એકવાર નિષ્ફળતા ચર્ચાનો વિષય બની ગઈ છે.

ફાઈનલમાં ભારતને જીત માટે 348 રનની જરૂર હતી, પરંતુ કેપ્ટન આયુષ મ્હાત્રે 8 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ નિષ્ફળતા માત્ર એક મેચ સુધી મર્યાદિત નથી. આખા ટુર્નામેન્ટ દરમિયાન 18 વર્ષનો આ ઓપનર ખાસ પ્રભાવ છોડી શક્યો નહોતો. પાંચ ઇનિંગ્સમાં તેણે માત્ર 65 રન બનાવ્યા હતા, તેની સરેરાશ 13 રહી હતી અને સર્વોચ્ચ સ્કોર 38 રહ્યો હતો.

આયુષ મ્હાત્રેની અંડર-19 વનડે કારકિર્દી

આંકડા વધુ ચિંતાજનક ત્યારે બને છે જ્યારે આયુષ મ્હાત્રેની સમગ્ર અંડર-19 વનડે કારકિર્દી પર નજર કરીએ. અત્યાર સુધી તેણે 14 અંડર-19 વનડે મેચ રમેલી છે, જેમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી અને કુલ મળીને ફક્ત 143 રન જ બનાવી શક્યો છે. આવનારા અંડર-19 વર્લ્ડ કપ પહેલા આ આંકડા ટીમ ઈન્ડિયા માટે ગંભીર ચિંતાનો વિષય છે.

આ સ્થિતિ માત્ર અંડર-19 ટીમ સુધી સીમિત નથી. સિનિયર ટી-20 ટીમમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું બેટ પણ છેલ્લા સમયથી સંપૂર્ણપણે શાંત રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની ટી-20 શ્રેણીમાં સૂર્યાએ ચાર ઇનિંગ્સમાં માત્ર 34 રન બનાવ્યા હતા. એ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે અને એશિયા કપમાં પણ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

સૂર્યકુમાર માટે 2025 નું વર્ષ તેના માટે સૌથી ખરાબ સાબિત

2024ના ટી-20 વર્લ્ડ કપ પછી સૂર્યકુમાર યાદવને ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી તેનું ફોર્મ સતત નીચે જતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 2025 વર્ષ તેના માટે સૌથી ખરાબ સાબિત થયું છે. આ વર્ષે તેણે 21 ટી-20 મેચોમાં ફક્ત 218 રન બનાવ્યા છે, તેની સરેરાશ 13 રહી છે અને એક પણ અડધી સદી ફટકારી નથી. આ તેની ટી-20 કારકિર્દીનું અત્યાર સુધીનું સૌથી નબળું વર્ષ ગણાય છે.

ટી-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે અને સૂર્યકુમાર યાદવ ત્યાં પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાના માર્ગમાં કેપ્ટન પોતે જ સૌથી મોટો અવરોધ બનતો જણાઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે સમય રહેતા ફોર્મમાં સુધારો થાય છે કે પછી કેપ્ટનશીપ અંગે મોટા નિર્ણયો લેવામાં આવશે.

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર નીકળ્યો, જુઓ Video

Follow Us