ટીમ ઈન્ડિયા (Team India) આયર્લેન્ડ સામે રમાયેલી બે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં જીત નોંધાવવામાં સફળ રહી છે. પરંતુ 12 ઓવરમાં 109 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે રૂતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને ઓપનિંગ માટે મોકલવામાં ન આવતા ચાહકો નિરાશ થયા હતા. જો કે ટીમના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આ પાછળનું કારણ જણાવ્યું.
ખરેખર ઇજાના કારણે રુતુરાજ ગાયકવાડ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ન હતો. ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ ખેલાડીની ફિટનેસનું જોખમ લેવા માંગતો નથી. મેચ બાદ પંડ્યાએ કહ્યું, “અમારી પાસે જોખમ લેવાનો વિકલ્પ હતો. અમે રુતુરાજને ઓપનિંગ માટે મોકલી શક્યા હોત. પરંતુ હું તેની સાથે સંમત ન હતો. ખેલાડી માટે સારું હોવું વધુ જરૂરી છે. મને લાગે છે કે અમે મેચ સંભાળી શકતા હતા.”
તમને જણાવી દઈએ કે જ્યારે ઈશાન કિશન સાથે દીપક હુડ્ડા ઓપનિંગની જવાબદારી સંભાળવા માટે મેદાનમાં આવ્યા ત્યારે ચાહકોને આશ્ચર્ય થયું હતું. દીપક હુડ્ડાએ ચાહકોને નિરાશ ન કર્યા અને 29 બોલમાં 47 રન ફટકાર્યા. દીપક હુડ્ડાની મદદથી ટીમ ઈન્ડિયાએ 9.2 ઓવરમાં 109 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
રુતુરાજ ગાયકવાડ 28 જૂને રમાનારી બીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તે સ્પષ્ટ નથી. રુતુરાજ ગાયકવાડ ફિટ ન હોવાની સ્થિતિમાં સંજુ સેમસનને પ્લેઈંગ 11માં સામેલ કરવાની તક મળી શકે છે.
વરસાદથી પ્રભાવિત આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભુવનેશ્વરની શાનદાર પ્રથમ ઓવર બાદ પોતે બીજી ઓવર લેવા આવ્યો હતો. હાર્દિકનો પહેલો બોલ વાઈડ હતો, જ્યારે પોલ સ્ટર્લિંગે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો (પ્રથમ માન્ય બોલ). ત્યારપછી હાર્દિકે આગામી બોલ પર પોતાની લેન્થ બદલી અને સ્ટર્લિંગની વિકેટ મેળવી. આ સાથે તે T20 ક્રિકેટમાં વિકેટ લેનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો.
હાર્દિક પહેલા ટીમ ઈન્ડિયાની કમાન મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓએ સંભાળી હતી, જ્યારે સુરેશ રૈના અને અજિંક્ય રહાણેએ પણ ટીમની કમાન સંભાળી હતી, પરંતુ તેમાંથી કોઈ બોલર નહોતા. રૈના પાર્ટ ટાઈમ બોલિંગ કરતો હતો, પરંતુ તેણે વધારે કેપ્ટનશિપ કરી ન હતી અને જ્યારે તેણે કર્યું ત્યારે આ મોરચે કોઈ સફળતા મળી ન હતી. આવી સ્થિતિમાં હાર્દિકે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચને ખાસ બનાવી હતી.