આગામી T20 વિશ્વકપ (World Cup)નું આયોજક BCCI છે. વિશ્વકપ ભારતમાં યોજાશે કે UAE તે સવાલ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ઘુમરાઈ રહ્યો છે. આ દરમ્યાન હવે BCCIના સેક્રેટરી જય શાહ (Jay Shah)નું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ કહ્યું હતુ કે BCCI કોરોનાની હાલની સ્થિતીનું નિરીક્ષણ કરી રહ્યું છે. આ અંગે હવે ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવશે. જોકે જય શાહે સંકેત આપ્યા હતા કે, ટૂર્નામેન્ટ UAEમાં શિફ્ટ થઈ શકે છે.
T20 વિશ્વકપ આમ તો ભારતમાં યોજવાનું આયોજન હતુ, જે મુજબ ઓક્ટોબર અને નવેમ્બર માસમાં યોજાનાર હતો. પરંતુ કોરોનાની દેશમાં સ્થિતી મે માસ દરમ્યાન વિકટ બનતા વિશ્વકપના આયોજન પર જાણે કે બ્રેક લાગી ગઈ હતી. કારણ કે કોરોનાની સ્થિતીને લઈ વિશ્વકપને વિદેશમાં રમાડવા માટે વિચારવાનું શરુ થયુ હતુ. IPL 2021ના બાયોબબલમાં કોરોના સંક્રમણ (Coroana Virus) ફેલાવવાને લઈને તે ચર્ચાને વધુ વેગ મળ્યો હતો.
આઈપીએલ 2021ને કોરોના સંક્રમણને લઈને મે માસની શરુઆતે જ અટકાવી દેવામાં આવી હતી. આમ 31 મેચ હજુ પણ IPL ટૂર્નામેન્ટની રમવાની બાકી છે. આ દરમ્યાન આઈપીએલની આગળની મેચોને UAEમાં રમાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે T20 વિશ્વકપ પહેલા સમાપ્ત કરી દેવામાં આવશે. જેની શરુઆત 19 સપ્ટેમ્બરથી થશે.
મીડિયા રિપોર્ટસનુસાર જય શાહે એક વાતચીતમાં કહ્યું હતુ આપણા દેશમાં કોરોનાને લઈને અમે ટૂર્નામેન્ટને UAEમાં શિફ્ટ કરી શકીએ છીએ. અમે સ્થિતીને ખૂબ ઝીણવટભરી રીતે જોઈ રહ્યા છીએ. ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી છે. અમે જલ્દીથી અંતિમ નિર્ણય લઈશું.
મીડિયા રિપોર્ટ મુજબ T20 વિશ્વકપની શરુઆત 17 ઓક્ટોબરથી થશે. જેની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાશે. આગામી T20 વિશ્વકપમાં 16 ટીમો ભાગ લેનારી છે. આ પહેલા આઈસીસીએ બોર્ડની મીટીંગ બાદ પુષ્ટી કરી હતી કે BCCI T20 વિશ્વકપના આયોજન અધિકાર યથાવત રાખશે. ભલે ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાય.
T20 વિશ્વકપમાં રાઉન્ડ 1માં 12 મેચ સામેલ થશે. જેમાં આઠ ટીમો સામેલ થશે. જેમાંથી પ્રત્યેક ગૃપમાંથી 2 ટોપર ટીમોને સુપર 12 માટે ક્વોલીફાઈ કરવામાં આવશે. આઠમાંથી ચાર ટીમ ટોપ આઠ રેન્કીંગવાળી T20 આંતરરાષ્ટ્રીય ટીમોમાં સામેલ થઈને સુપર 12માં પહોંચશે.
સુપર 12નું ચરણ જેમાં 30 મેચો સામેલ છે. 24 ઓક્ટોબરથી UAEમાં ત્રણ સ્થળો દુબઈ, અબૂધાબી અને શારજહામાં શરુઆત થશે. સુપર 12ના તબક્કા બાદ ત્રણ પ્લેઓફ મેચ રમાશે. જેમાં 2 સેમિફાઈનલ અને 1 ફાઈનલ મેચ હશે.