IND vs WI: ટીમ ઈન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીની ખોટ છે! જાણો શા માટે રોહિત શર્માને યાદ આવ્યો પૂર્વ કેપ્ટન?

રોહિત શર્મા (Rohit Sharma) 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ODI કેપ્ટન તરીકેનો કાર્યકાળ શરૂ કરશે, પરંતુ તે પહેલા જ રોહિતે ટીમ ઈન્ડિયાની મોટી ખામી વિશે જણાવ્યું.

IND vs WI: ટીમ ઈન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીની ખોટ છે! જાણો શા માટે રોહિત શર્માને યાદ આવ્યો પૂર્વ કેપ્ટન?
Rohit Sharma મીડલ ઓર્ડરને લઇ વાત કરી હતી.
| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:20 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) તેની એક હજારમી ODI મેચ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરી, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આ સિદ્ધિ હાંસલ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ ઐતિહાસિક મેચ સાથે જ ભારતીય ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશિપનો સમયગાળો પણ શરૂ થશે. રોહિતની સાથે, નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડની જોડી ભારતીય ક્રિકેટ અને ચાહકો માટે સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરશે તેવી અપેક્ષા છે. બંને દિગ્ગજોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે અને આ પ્રયાસમાં નવા કેપ્ટને વર્તમાન ભારતીય ટીમની સૌથી મોટી ખામી તરફ ધ્યાન દોર્યું છે. જેનો સીધો સંબંધ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સાથે છે.

2013માં છેલ્લી વખત ICC ટ્રોફી જીતનાર ધોનીની કેપ્ટનશિપને આખી દુનિયાએ સ્વીકારી છે. પરંતુ સાથે જ તેની સૌથી મોટી ખાસિયત ફિનિશરની હતી અને રોહિત શર્માનું માનવું છે કે ધોનીની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયા તેની કમી ભરી શક્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની શરૂઆત પહેલા 5 ફેબ્રુઆરી, શનિવારે આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં, રોહિતે સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયા હાલમાં ફિનિશર્સની કમીનો સામનો કરી રહી છે અને આશા વ્યક્ત કરી કે આ શ્રેણીમાં આ શોધ પૂર્ણ થઈ જશે.

ધોની પછી કોઈ ફિનિશર મળ્યો નથી

અમદાવાદમાં તેની નિયમિત કેપ્ટનશીપની શરૂઆત પહેલા, રોહિત સામે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમાંથી એક ‘ફિનિશર’ની ભૂમિકા પર હતો. જ્યારે રોહિતને 6ઠ્ઠા અને 7મા ક્રમના બેટ્સમેનોની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોહિતે કહ્યું, “વન ડે માં ફિનિશરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એમએસ ધોનીની નિવૃત્તિ પછી અમને આ ભૂમિકામાં ફિટ થઈ શકે તેવો કોઈ મળ્યો નથી.”

હાર્દિક-જાડેજાના બેકઅપની જરૂર છે

ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે તેને હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા સિવાય વધુ ‘બેક-અપ’ તૈયાર કરવાની જરૂર છે. “અમે હાર્દિકને અજમાવ્યો, જાડેજા પણ રમ્યો પરંતુ અમારે આ પદ માટે વધુ ‘બેક-અપ’ તૈયાર કરવાની જરૂર છે. આ શ્રેણીમાં જે ખેલાડીઓને તક મળી રહી છે, અમને આશા છે કે તેઓ તેનો ફાયદો ઉઠાવશે અને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરશે. નિર્ણાયક સમયે ‘ફિનિશર’ બેટિંગ કરે છે અને ઘણીવાર તેનું યોગદાન મેચનો માર્ગ બદલી શકે છે.”

આ ખેલાડીઓ પર નજર રાખો

ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં વેંકટેશ અય્યર અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ઓલરાઉન્ડરોને અજમાવવા ઈચ્છશે, જેથી ટીમ આગામી દોઢ વર્ષમાં યોજાનાર વર્લ્ડ કપ માટે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહે. જો કે, ભારતીય ટીમ એ પણ આશા રાખશે કે હાર્દિક પંડ્યા અને જાડેજા ફિટ થયા પછી જલ્દી ટીમમાં પાછા ફરે અને ટીમ માટે તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ફિનિશરની ભૂમિકા ભજવી શકે.

 

આ પણ વાંચોઃ IND vs WI: રોહિત શર્માએ સિરીઝ પહેલા કેમ કહ્યું , કે મને અને ધવનને ટીમમાંથી ‘બહાર’ કરી દેવા જોઈએ?

આ પણ વાંચોઃ  Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ

Published On - 11:17 pm, Sat, 5 February 22