વિરાટ કોહલી (Virat Kohli) બ્રેક બાદ એશિયા કપમાં વાપસી કરશે. તેની વાપસી સાથે જ તેના ફોર્મની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીનું (Ravi Shastri) કહેવું છે કે કોહલીને તેની ગતિ પાછી મેળવવા માટે માત્ર એક ઈનિંગ્સની જરૂર છે અને જો તે એશિયા કપની પહેલી મેચમાં એટલે કે પાકિસ્તાન સામે અડધી સદી ફટકારે છે. તો તેના ફોર્મ વિશે ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવશે. વિરાટ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે 5 અઠવાડિયાના આરામ બાદ મેદાનમાં પરત ફરશે.
પૂર્વ ભારતીય કેપ્ટન ઈંગ્લેન્ડ પ્રવાસ પછી બ્રેક પર છે. તેને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાંથી પણ આરામ આપવામાં આવ્યો હતો. એશિયા કપ પહેલા સ્ટાર સ્પોર્ટ્સના એક શોમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે મેં કોહલી સાથે હાલમાં વાત કરી નથી, પરંતુ તે યોગ્ય સમયે ફોર્મમાં આવે છે. એશિયા કપ પહેલા કોહલી માટે ખરાબ તબક્કો સારો હતો, તેનાથી તેને વિચાર કરવાની સારી તક મળી. જો કોહલી પાકિસ્તાન સામે અડધી સદી ફટકારશે તો લોકોના મોં બંધ થઈ જશે. એક દાવથી ફરક પડી શકે છે. શાસ્ત્રીએ કહ્યું કે તેને વાપસી કરવા માટે એક ઇનિંગ્સની જરૂર છે કારણ કે તેની ભૂખ ઓછી થઈ નથી. આ પહેલા જે બન્યું તે ઈતિહાસ છે. લોકોની યાદશક્તિ ઘણી નબળી હોય છે.
શાસ્ત્રીએ કહ્યું કે કોહલી એક મશીન છે અને જો તે પોતાનું મન યોગ્ય રાખે તો તેના વાપસી કરવા માટે માત્ર એક જ ઇનિંગ પૂરતી છે. કોહલીએ આ પહેલા કહ્યું હતું કે તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે અને ક્રિકેટમાં બિઝી સિઝન પછી ટ્રાવેલિંગ તેને ઘણી મદદ કરે છે. આ કેલેન્ડર વર્ષમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સિરીઝની મધ્યમાં બ્રેક લીધો છે. શાસ્ત્રીએ કહ્યું કે કોહલી ભારતીય ટીમનો સૌથી ફિટ ખેલાડી છે અને તેની વર્ક એથિક્સ સાથે કોઈ સ્પર્ધા કરી શકતું નથી. તેના વિશે કોઈ સવાલ નથી, તે ચોક્કસપણે તેના બેસ્ટ ફોર્મમાં પરત ફરશે. શાસ્ત્રીએ કહ્યું કે કોહલીની ભૂખ અને તેની પેશન અવિશ્વસનીય છે.