
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 61મી લીગ મેચ ધર્મશાલાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે, જેમાં આ મેચમાં પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બંને ટીમોની પ્લેઇંગ 11માં કેટલાક ફેરફાર થયા છે, જેમાં RCB ટીમનો કેપ્ટન રજત પાટીદાર ઈજાગ્રસ્ત હોવાના કારણે આ મેચ નથી રમી રહ્યો અને તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો છે.
આ મેચ પર ફેન્સની સૌથી વધુ નજર રહેવાની છે, કારણ કે બંને ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં બનેલી છે. આમાં RCB જે હાલમાં પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે, જો તે આ મેચ જીતશે તો પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ પાકું થઈ જશે.
પંજાબ કિંગ્સની ટીમની વાત કરીએ તો, તેમણે આ સીઝનના પ્રથમ ફેઝમાં ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં પ્રથમ 7 મેચમાંથી 6 મેચ પોતાના નામે કરી હતી, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ તેમણે અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે હવે તેઓ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે ચોથા નંબરે પહોંચી ગયા છે. હવે પંજાબને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે બાકી બચેલી બંને મેચોમાં જીત મેળવવી પડશે.