
ICC ટુર્નામેન્ટોમાં ભારત સામે પાકિસ્તાનનું પ્રદર્શન સતત નબળું રહ્યું છે. T20 વર્લ્ડ કપ 2026ની મહત્વપૂર્ણ મેચમાં ફરી એકવાર ભારત સામે હાર સ્વીકારવી પડી, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળ્યો છે. હંમેશની જેમ, ભારત સામેની હાર બાદ જવાબદારી અનુભવી ખેલાડીઓ પર આવી છે, ખાસ કરીને બાબર આઝમ અને શાહીન આફ્રિદી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાન ટીમ સંપૂર્ણ રીતે તૂટેલી જોવા મળી. જ્યાં ભારતે 175 રન બનાવ્યા હતા, ત્યાં પાકિસ્તાનની ટીમ માત્ર 100 રન પણ પાર કરી શકી નહીં અને 61 રનથી હારનો સામનો કરવો પડ્યો. બાબર આઝમ, શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા અનુભવી ખેલાડીઓ મેચમાં કોઈ ખાસ અસર પાડી શક્યા નહીં.
આ પરાજય બાદ હવે આ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની માંગ વધુ મજબૂત બની છે. પાકિસ્તાનના અગ્રણી મીડિયા હાઉસ મીડિયા અહેવાલ મુજબ, નામિબિયા સામેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં બાબર આઝમ અને શાહીન આફ્રિદીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. સુપર-8માં પહોંચવા માટે પાકિસ્તાન માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી છે. જો સલમાન આગાની આગેવાની હેઠળની ટીમ નિષ્ફળ જાય છે, તો પાકિસ્તાન સતત બીજી વખત પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ જશે.
પ્રેમાદાસા સ્ટેડિયમની પિચ ઝડપી બોલરો માટે મુશ્કેલ માનવામાં આવતી હતી, છતાં પણ શાહીન આફ્રિદી પાસેથી વધુ સારું પ્રદર્શન અપેક્ષિત હતું. પરંતુ ડાબોડી ઝડપી બોલરે માત્ર બે ઓવરમાં 31 રન આપી દીધા. તેના વિપરીત, ભારત તરફથી હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ એ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી.
બીજી તરફ, ધીમી બેટિંગ માટે ઘણી વખત ટીકા સહન કરતા બાબર આઝમ પાસેથી આ મેચમાં ઇનિંગ્સ સંભાળવાની અપેક્ષા હતી. પરંતુ મહત્વપૂર્ણ સમયે તેઓ પણ નિષ્ફળ ગયા, જેના કારણે ટીમ પર દબાણ વધી ગયું અને હાર નિશ્ચિત બની.
ઇંગ્લેન્ડ ફરી માંડ-માંડ જીત્યું, ઇટાલીને હરાવતા પરસેવો છૂટી ગયો, અહીં જાણો
Published On - 8:40 pm, Mon, 16 February 26