શુક્રવાર થી IPL 2023 ની શરુઆત થવા જઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સિઝનની ઓપનીંગ મેચમાં ટકરાશે. જોકે સિઝનની શરુઆત પહેલા જ જે સમાચાર સામે આવી રહ્યા છે, એ મુજબ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને માટે થોડા નિરાશ કરનારા છે. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા લીગ તબક્કાની તમામ 14 મેચ રમવાનુ નિશ્ચિત નથી. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તેને લીગ તબક્કામાં આરામ આપશે અને જેને લઈ તે લીગ તબક્કાની તમામ મેચો નહી રમે એમ મનાય છે. મુંબઈ ઈન્ડિયન્સ લીગની સૌથી સફળ ટીમ છે, 5 વાર ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ચેમ્પિયન બની શકી છે.
સિઝનમાં મુંબઈ પોતાના અભિયાનની શરુઆત 2 એપ્રિલથી કરશે. પ્રથમ મેચ બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ શાનદાર દેખાવ કરીને પ્લેઓફમાં પહોંચશે એવી આશા સિઝન શરુ થવા પહેલાથી જ ચાહકોને છે. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો દેખાવ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. લીગ તબક્કાની 14 મેચમાંથી માત્ર 4 માંજ જીત મેળવી હતી. એટલે કે 10 મેચમાં મુંબઈની ટીમે હાર મેળવી હતી. આમ આ દરમિયાન હવે મુંબઈની ટીમ રોહિત શર્માને આરામ આપવાની વાત સામે આવતા ચાહકોને ચિંતા સતાવવા લાગી છે.
મુંબઈની ટીમનો કેપ્ટન રોહિત શર્મા તમામ લીગ મેચમાં નહીં રમે તો તેના સ્થાને કોણ સુકાન સંભાળશે એ સવાલ થઈ રહ્યો છે. જોકે મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિત આરામ પર રહેવાના સંજોગોમાં વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ ટીમનુ સુકાન સંભાળશે. સૂર્યા મુંબઈની આગેવાની સંભાળતો જોવા મળશે.
રિપોર્ટસ મુજબ રોહિત શર્માનો વર્કલોડ મેનેજ કરવા માટે લીગ રાઉન્ડમાં આરામ આપવામાં આવી શકે છે. રોહિત શર્મા પોતાની મેળે જ લીગ રાઉન્ડમાં આરામના દિવસ નક્કી કરશે. રોહિત ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. ટીમ ઈન્ડિયાનુ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેનારુ છે. આઈપીએલ ખતમ થયા બાદ તુરત જ ટીમ ઈન્ડિયા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે લંડન જશે. ત્યાર બાદ એશિયા કપ, વિશ્વકપ સહિતની આંતરાષ્ટ્રીય મોટી ટૂર્નામેન્ટો સામે છે. આવી સ્થિતીમાં રોહિત શર્માનો વર્કલોડ મેનેજ કરવો જરુરી છે. સૂર્યા ટેસ્ટ ટીમનો નિયમીત હિસ્સો નથી. આમ તેને વર્કલોડ મેનેજ કરવાની જરુરિયાત આ દરમિયાન ઓછી જણાશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:51 am, Wed, 29 March 23