દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ IPL 2022 માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રિષભ પંત (Rishabh Pant) ની ટીમને મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે પરાજય આપ્યો હતો. મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સની હાર સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
મુંબઈ સામેની હાર બાદ રિષભ પંતની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પંતે ટિમ ડેવિડ સામેના કેચને લઈને રિવ્યુ ન લેતા રિષભ પંતની ઘણી ટીકા થઈ રહી છે. જોકે આ ટીકાઓ વચ્ચે ઋષભ પંતને મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા અને દિલ્હી કેપિટલ્સના કોચનું સમર્થન મળ્યું છે.
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘તે ગુણવત્તાયુક્ત કેપ્ટન છે. તેમાં કોઈ શંકા નથી. છેલ્લી સિઝનમાં અમે જોયું છે કે રિષભ પંતે કેવી રીતે તેની ટીમનું નેતૃત્વ કર્યું. કેટલીકવાર વસ્તુઓ તમારી રીતે જતી નથી, તે તેટલું જ સરળ છે. ક્યારેક કોઇ કામ કે નિર્ણયો તમારા અનુસાર નથી થતા. તેથી તેમાં કંઈ ખોટું નથી.’
રોહિત શર્માએ કહ્યું કે, ‘તેનું મગજ શાનદાર છે. તે વિકેટની પાછળથી રમતને સારી રીતે વાંચે છે. આ એક પ્રેશર ટૂર્નામેન્ટ છે અને નાની-નાની ભૂલો થઈ શકે છે. પરંતુ એ મહત્વનું છે કે તમે તમારો આત્મવિશ્વાસ ન ગુમાવો અને તમારી જાત પર શંકા ન કરો. તે વિશે મેં તેની સાથે વાત કરી. રિષભ પંત આત્મવિશ્વાસ ધરાવતો માણસ છે અને આગામી સિઝનમાં જોરદાર વાપસી કરશે.
દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું, ‘સુકાની પદ માટે રિષભ પંત યોગ્ય પસંદગી હતો. અમે ગયા વર્ષે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતા. પરંતુ કમનસીબે પ્લે-ઓફ હારી ગયા હતા. તે યુવાન છે અને ટી20 ટીમનો કેપ્ટન બનવું સરળ વાત નથી. આગામી સિઝનમાં તેની સાથે ફરી કામ કરવા માટે આતુર છું.
ગયા વર્ષે શ્રેયસ અય્યરની ઈજા બાદ રિષભ પંતે દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળ્યું હતું અને શ્રેયસ અય્યરના વાપસી બાદ પણ તે ટીમનો કેપ્ટન રહ્યો હતો. પંતની કપ્તાની હેઠળ દિલ્હીએ વર્તમાન સિઝનમાં 14માંથી 7 મેચમાં જીત મેળવી હતી. બેટિંગની વાત કરીએ તો રિષભ પંતે IPL ની વર્તમાન સિઝનમાં 14 મેચ રમીને 30.90 ની એવરેજથી 340 રન બનાવ્યા છે. આ દરમિયાન રિષભ પંતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 44 રન રહ્યો છે. એટલે કે પંત IPL 2022 માં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.