IPL 2021 નો બીજો તબક્કો રવિવારથી શરૂ થઇ રહ્યો છે. તમામ ટીમોએ પોતાની તૈયારીઓ કરી લીધી છે. દરેક ટીમ આ બીજા ચરણમાં સારું પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવવા ઈચ્છશે. પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે અંતિમ-4 માં પહોંચવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. પ્રથમ ચરણમાં તેણે સાતમાંથી માત્ર એક જ મેચ જીતી હતી, જ્યારે છ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે જો તે પ્લેઓફમાં સ્થાન મેળવવા માંગે છે, તો તેણે બાકીની સાતમાંથી છ મેચ જીતવી પડશે. તે ટીમ માટે કરો અથવા મરોની સ્થિતી છે. ટીમના મુખ્ય ખેલાડી રાશિદ ખાને (Rashid Khan) કહ્યું છે કે તેમની ટીમ હવે દરેક મેચને અંતિમ મેચ માનશે અને સિઝનને સારી રીતે સમાપ્ત કરવા ઈચ્છશે.
રાશિદે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું, અમે બાકીની સિઝન માટે તૈયાર છીએ. હા, અમને પ્રથમ ચરણમાં સારી શરૂઆત મળી ન હતી. પરંતુ અમે સારી રીતે સમાપ્ત કરવા અને દરેક મેચને ફાઇનલ તરીકે લેવા, અને અમારા 100 ટકા આપવાનો પ્રયત્ન કરીશું.
રાશિદે કહ્યું છે કે તેનું ધ્યાન તેમની ટીમ માટે શક્ય તેટલી મેચો જીતવા પર છે. તેણે એમ પણ કહ્યું છે કે તે તેની બેટિંગ પર કામ કરી રહ્યો છે. બેટ તેમજ બોલથી ટીમને જીતવાનો પ્રયાસ કરશે. તેણે કહ્યું, છેલ્લા દોઢેક વર્ષથી હું મારી બેટિંગ પર ઘણું કામ કરી રહ્યો છું. કારણ કે અંત સમયમાં 15-25 રન ટીમ માટે ખૂબ મહત્વના હોય છે. તેથી હું વિવિધ વસ્તુઓ કરતી વખતે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. હું નેટ પર ઘણા શોટનો અભ્યાસ નથી કરતો. પણ મારું ધ્યાન યોગ્ય માનસિકતા મેળવવા પર છે કે, જો મને બોલ મળે તો હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. તેમજ સારી રીતે રમત સમાપ્ત કરીશ.
IPL 2021 કોવિડના કારણે મેના પહેલા સપ્તાહમાં મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ હવે આ સીઝનનો બીજો તબક્કો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે. IPL 2020 યુએઈ માં જ રમાઈ હતી. રાશિદે કહ્યું છે કે, તેને યુએઈ માં રમવાનો અનુભવ છે. તેણે કહ્યું, અમને યુએઈમાં રમવાનો સારો અનુભવ છે. અમે અહીંની પરિસ્થિતિ જાણીએ છીએ. હું આ પહેલા ઈંગ્લેન્ડમાં રમી રહ્યો હતો પરંતુ વધારે ફેરફાર કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમારી માનસિકતા બદલવી પડશે અને જુઓ કે વિકેટ પર અહીં કઈ જગ્યાઓ પર બોલિંગ કરી શકાય છે. માત્ર પરિસ્થિતિ અનુસાર બોલિંગ કરવી પડશે. તમારે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવાની જરૂર છે.
Published On - 8:45 pm, Sat, 18 September 21