ના તો ભારતીય ટીમ માટે બાંગ્લાદેશ પ્રવાસ અત્યાર સુધી સારો રહ્યો છે કે, ના તો ખેલાડીઓ માટે. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન એક બાદ એક ખેલાડી અનફિટ થવા લાગ્યા તો, બીજી તરફ વન ડે શ્રેણીમાં પણ 2-1 થી હાર થઈ હતી. ટીમ ઈન્ડિયાની વન ડે શ્રેણીમાં પ્રથમ બંને મેચમાં ભારતે હાર મેળવી હતી. આવી સ્થિતીમાં હવે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા વન ડે ફોર્મેટમાં પણ વિશ્વકપ પહેલા સુધારો લાવવા માટે પ્રયાસ થઈ શકે છે, જેમાં સૌથી પહેલુ કાર્ય નબળુ પ્રદર્શન ધરાવતા ખેલાડીઓ પર કાતર ફેરવવાનુ કામ હાથ ધરાઈ શકે છે. આવી સ્થિતીમાં હવે ફોર્મથી બહાર ચાલી રહેલા શિખર ધવનને માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
ઈશાન કિશને બાંગ્લાદેશ સામેની વન ડે શ્રેણીની અંતિમ મેચમાં બેવડી સદી નોંધાવ્યા બાદ, તેને ભારતીય ક્રિકેટ ટીમમાં ઓપનર તરીકે મુખ્ય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી વર્ષે ઘર આંગણે વન ડે વિશ્વકપ રમારો હોઈ ટીમ ઈન્ડિયામાં કચાસને દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આવી સ્થિતીમાં હવે શિખર ઘવન માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ધવન અંતિમ કેટલીક મેચોમાંથી 8 ઈનીંગમાં સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યો હતો. પાવર પ્લેમાં પણ તેની રમત ધીમી રહી છે. આમ હવે નવી પસંદગી સમિતિ તેના પ્રદર્શન અને ભવિષ્યને લઈ વિચારણા કરી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન બોર્ડના વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમમાંથી અનુભવી ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા આવતા વર્ષથી શરૂ થશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતાની શરતે પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, શિખરના ભાવિ અંગેનો નિર્ણય નવી પસંદગી સમિતિની રચના પછી જ લેવામાં આવશે. પરંતુ આ મામલે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માના વિચારોને નજરઅંદાજ કરી શકાય નહીં.
હાલમાં ભારતીય ટીમનુ પ્રદર્શન બાંગ્લાદેશ પ્રવાસમાં અંતિમ વન ડેને બાદ કરતા સંઘર્ષ ભર્યુ રહ્યુ છે. શિખર ધવન ત્રણેય ઈનીંગમાં ફ્લોપ રહ્યો હતો. જે વિશ્વકપ 2023 પહેલા ચિંતા રુપ બની રહ્યુ છે. અગાઉ 2019 ના વિશ્વકપ પહેલા ધવનની સ્ટ્રાઈક રેટ 100 થી વધારે રહેતી હતી. જે હાલમાં માત્ર 75 નો જોવા મળી રહ્યો છે. નવી પસંદગી સમિતિ ટીમમાં સુધારો લાવવા માટે નબળા પ્રદર્શન ધરાવતા ખેલાડીઓ પર આફત લાવી શકે છે. જોકે ધવન અનુભવી ખેલાડી છે અને તેને લઈ વિચાર માંગી લેશે.
ઘવને ભારતીય ટીમ વતી 167 મેચ રમી છે. આ દરમિયાન તે ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના બાદ ત્રીજો સૌથી વધુ રન ધરાવતો ખેલાડી છે. રોહિત શર્મા 9454 રન ધરાવે છે, તો કોહલી 12471 રન ધરાવે છે. ધવન વન ડે ક્રિકેટમાં 6793 રન ધરાવે છે. જોકે આગામી વર્ષની શરુઆતે જ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ભારત 6 મેચો રમશે. શિખર ધવનને પણ આ બંને શ્રેણીઓમાં મોકો મળવો જોઈએ અને ત્યારબાદ તેની પર વિચારણા કરવી જોઈએ એમ માનવા વાળો વર્ગ પણ મોટો છે.
હાલમાં ઈશાન કિશને બેવડી સદી ફટકારીને સૌ કોઈનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યો છે. શુભમન ગિલની પણ રમત શાનદાર રહી છે, જોકે બાંગ્લાદેશ પ્રવાસથી આરામ પર છે. ઈશાનના પ્રદર્શનને લઈ તે સૌને ધ્યાન પોતાના પર ફોકસ કરવા મજબૂર બનાવી ચુક્યો છે. હાલમાં ઈશાન કિશનને હવે પોતાના વારા માટે રાહ જોવડાવવી યોગ્ય નથી. ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શિખર ધવનને એક જ પ્લેઈંગ ઈલેવનમાં રાખવા એ મુશ્કેલ છે.
હવે આગામી વર્ષે ભારતમાં વન ડે વિશ્વકપ રમાનારો છે એ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં સુધારાઓ કરવા આવશ્યક છે. ભારતીય ટીમ આગામી વર્ષે વિશ્વકપ પહેલા ખૂબ વન ડે ક્રિકેટ રમનારી છે. જેમાં શરુઆત જાન્યુઆરી મહિનામાં લાગ લગાટ વન ડે મેચો ભારતીય ટીમ રમનારી છે. 3 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધીના સમયમાં જ 12 મેચ મર્યાદિત ઓવરોની ભારત રમનાર છે.
Published On - 10:19 pm, Sun, 11 December 22