ગુરુવારે ભારતીય ટીમ (Indian Cricket Team) લેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે અભ્યાસ માચે સાથે પ્રવાસની શરુઆત કરશે. તેના બાદ 1, જુલાઈ થી બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. જે એક માત્ર ટેસ્ટ મેચ ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમા રમાનારી છે. બર્મિંગહામમાં રમાનારી આ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા પાસે મોકો હશે કે પોતાની તૈયારીઓની પરીક્ષા કરી શકાશે. રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે. ભારતીય ટીમે પાછળના ત્રણ માસથી કોઈ જ ટેસ્ટ મેચ રમી નથી. આમ ત્રણ માસ બાદ લાલ બોલ પર હાથ અજમાવશે. આ મેચ ગત વર્ષ રમાયેલી પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ બાકી રાખવામાં આવેલી મેચ છે.
ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી એ છે કે એવા અહેવાલો છે કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કોરોના પોઝિટિવ છે, જે આખી ટીમ માટે ખતરો છે. જો કે હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. BCCI દ્વારા શેર કરાયેલા પ્રેક્ટિસ સેશનના વીડિયોમાં પણ કોહલી હિસ્સો રહ્યો છે.
શ્રેણીની પ્રથમ ચાર મેચ અને આ છેલ્લી મેચમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. બંને ટીમોમાં ઘણો બદલાવ આવ્યો છે. સિરીઝની પ્રથમ ચાર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની વિરાટ કોહલીના હાથમાં હતી અને કોચ રવિ શાસ્ત્રી હતા. જ્યારે કેપ્ટન્સી હવે રોહિત શર્માના હાથમાં છે, તો રાહુલ દ્રવિડ ટીમના કોચની જવાબદારી નિભાવી રહ્યો છે. પ્રથમ ચાર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટ હતા જ્યારે મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ હતા. હવે પાંચમી મેચમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ છે.
લેસ્ટરના ટ્રેનિંગ સેશનમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ઘણો પરસેવો પાડ્યો હતો. પ્રેક્ટિસ મેચમાં ભારતનો સામનો કાઉન્ટી ટીમ સાથે થશે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતરશે. શુભમન ગિલ ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી બાદથી એકપણ મેચ રમ્યો નથી. તે સિરીઝમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. હવે તે આ મેચમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરતો જોવા મળશે.
રોહિત શર્મા માટે પણ આ સારી ટેસ્ટ હશે જ્યાં તે પ્રથમ વખત ભારતની બહાર ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. આ મેચ ચેતેશ્વર પુજારા માટે ટીમમાં વાપસી કરવાની મહત્વની તક છે. ત્રણ મહિનાથી મર્યાદિત ઓવરની ક્રિકેટ રમી રહેલી ટીમને આ પ્રેક્ટિસ મેચથી ટેસ્ટમાં રંગ જમાવવામાં મદદ મળશે.
Published On - 10:17 pm, Wed, 22 June 22