ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે કોલકાતામાં T20 સિરીઝ રમાઇ રહી છે. શ્રેણીની અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમના કેપ્ટન કિરોન પોલાર્ડે (Kieron Pollard) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરી હતી. ભારતીય ટીમના કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા એ આજે પોતાની બેટીંગ પોઝિશન બદલી હતી અને તે ચોથા ક્રમે મેદાને ઉતર્યો હતો. જોકે તે પોઝિશન બદલીને બેટીંગમાં સફળ રહ્યો નહોતો. સુર્યકુમાર યાદવે (Suryakumar Yadav) શાનદાર ઝડપી અર્ધશતક ફટકાર્યુ હતુ. ભારતે 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 184 રનનો સ્કોર કર્યો હતો.
સૂર્યા અને વેંકટેશે આક્રમક રમત રમીને ભારતનો સ્કોર ઉંચે પહોંચાડ્યો હતો. જે સ્કોર પર પહોંચવુ એક સમયે મુશ્કેલ લાગી રહ્યુ હતુ. ખરાબ ફોર્મમાં રહેલા ઇશાન કિશને ફરી એકવાર તક મળી છે, તેમજ તેની સાથે ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગમાં ઉતારવામાં આવ્યા હતા. રોહિત શર્માએ ઓપનિંગ પોઝિશન છોડીને ચોથા ક્રમે મેદાને ઉતર્યો હતો. જ્યાં તે માત્ર 7 જ રનનુ યોગદાન 15 બોલનો સામનો કરીને આપ્યુ હતુ. તો ગાયકવાડ પણ માત્ર 4 જ રન નોંધાવીને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે ઇશાન કિશને શાનદાર 5 ચોગ્ગા વડે 34 રન નોંધાવ્યા હતા. જોકે તે રોસ્ટન ચેઝના બોલ પર બોલ્ડ થયો હતો.
ભારતીય ઇનીંગની શરુઆતે 10 રનના સ્કોર પર જ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ઇશાન અને અય્યરે અર્ધશતકીય ભાગીદારી ઇનીંગ રમી હતી. શ્રેયસ અય્યરે 16 બોલમાં 25 ની ઇનીંગ રમી હતી. અય્યર બાદ ઇશાને પણ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા પણ વિકેટ ગુમાવતા જ ભારતની મોટો સ્કોર ખડકવાની આશા મુશ્કેલ લાગી રહી હતી. જોકે સૂર્યકુમાર (65 રન 31 બોલ) ના ઝડપી અર્ધશતક અને વેંકટેશ (35 રન 19 બોલ) ની અણનમ આક્રમક રમતને લઇને ભારત આ સ્કોર સુધી પહોંચી શક્યુ હતુ. બંને એ 91 રનની ભાગીદારી રમત રમી હતી.
જે રીતે અય્યર અને સૂર્યાનુ બેટ બોલને ચારે તરફ મોકલી રહ્યુ હતુ, તેને લઇને વેસ્ટ ઇન્ડિઝના બોલરોની મુશ્કેલી વધવા લાગી હતી. શરુઆતની 10 ઓવર સુધી સ્થિતી નિયંત્રણમાં હોવાનો અંદાજો લગાવતી હરીફ ટીમના તમામ ગણિત આ બંને બેટ્સમેનોએ બગાડી દઇ આક્રમક રમત રમી હતી. રોમારિયો શેફર્ડની 4 ઓવરમાં 50 રન ભારતીય બેટ્સમેનોએ નિકાળ્યા હતા. રોમારિયો, જેસન હોલ્ડર. રોસ્ટન ચેઝ, હેડન વોલ્સ, ડોમિનીક ડ્રેક્સે એક એક વિકેટ મેળવી હતી. ડ્રેકસની ઓવર પર પણ ભારતે ખૂબ રન મેળવ્યા હતા. ડ્રેક્સ અને શેફર્ડની ઓવર 12 થી વધુની સરેરાશની રહી હતી.
2013માં ટીમ ઈન્ડિયા ODI અને T20માં નિયમિત ઓપનર બન્યા બાદ કદાચ આ પ્રથમ વખત બન્યું છે, જ્યારે રોહિતે ઓપનિંગ કે ટોપ 3માં બેટિંગ કરી ન હતી. છેલ્લી વખતે રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની T20 વર્લ્ડ કપ મેચમાં ઓપનિંગ કરવાને બદલે ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી. જો કે તે આ ભૂમિકામાં સફળ થયો ન હતો.
Published On - 8:41 pm, Sun, 20 February 22