IND vs SL: રોમાંચક શૈલીમાં ભારત-શ્રીલંકા મેચ ટાઈ, ટીમ ઈન્ડિયા છેલ્લો 1 રન બનાવવામાં નિષ્ફળ રહી

એકતરફી રહેલી ભારત-શ્રીલંકા T20 સિરીઝ બાદ ODI સિરીઝની ભારે રોમાંચક શરૂઆત થઈ છે. જ્યાં એક તરફ સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી બાદ ભારત આસાનીથી પહેલી વનડે જીતી જશે તેવું લાગી રહ્યું હતું, ત્યાં શ્રીલંકન ટીમે ભારતને મેચ જીતવાથી રોકી બધાને ચોંકાવી દીધા હતા અને ODI સિરીઝની પહેલી મેચ ભારે રોમાંચક રીતે ડ્રો કરી ટીમ ઈન્ડિયાના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

IND vs SL: રોમાંચક શૈલીમાં ભારત-શ્રીલંકા મેચ ટાઈ, ટીમ ઈન્ડિયા છેલ્લો 1 રન બનાવવામાં નિષ્ફળ રહી
India vs Sri Lanka
| Updated on: Aug 02, 2024 | 10:39 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ રોમાંચક ટાઈમાં સમાપ્ત થઈ હતી. કોલંબોમાં રમાયેલી આ લો સ્કોરિંગ મેચમાં ભારતીય ટીમ 231 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી ન હતી અને 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી પરંતુ શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ સતત 2 બોલમાં શિવમ દુબે અને અર્શદીપ સિંહની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને જીતતા અટકાવી અને મેચ ટાઈ થઈ ગઈ.

શ્રીલંકાએ ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શુક્રવાર બીજી ઓગસ્ટે રમાયેલી આ મેચ સ્પિનરોના વર્ચસ્વને કારણે રોમાંચક સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 8 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે યુવા ઓલરાઉન્ડર ડ્યુનિથ વેલ્લાલેગે શાનદાર ઈનિંગ રમી અને 67 રન બનાવ્યા. આ સિવાય શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ પણ 56 રનની ઈનિંગ રમી હતી. જ્યારે નીચલા ક્રમમાં વાનિંદુ હસરંગાએ 24 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી.

રોહિતની વિસ્ફોટક અડધી સદી

આ પછી ભારતીય ટીમનો વારો આવ્યો, આ લક્ષ્ય બહુ મોટું નહોતું લાગતું. T20 વર્લ્ડ કપ જીત્યાના લગભગ એક મહિના બાદ ટીમમાં વાપસી કરી રહેલા કેપ્ટન રોહિત શર્માએ માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ અહીંથી વેલ્લાલેગેમાં શ્રીલંકન બોલરએ કમાલ કરવાનું શરૂ કર્યું અને ઝડપથી શુભમન ગિલ અને રોહિતની વિકેટ લીધી.

સ્પિનરોએ વિજયરથ અટકાવ્યો

જ્યારે વિરાટ કોહલી, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ અય્યર પણ લાંબો સમય ટકી શક્યા ન હતા અને શ્રીલંકાના સ્પિનરોએ મેચ પર કબજો જમાવ્યો હતો. કેએલ રાહુલ અને અક્ષર પટેલ વચ્ચેની 57 રનની ભાગીદારીએ ફરી જીતની આશા જગાવી હતી, પરંતુ હસરંગા અને અસલંકાએ બંનેની વિકેટ લીધી હતી. અહીંથી શિવમ દુબેએ દાવ સંભાળ્યો અને મજબૂત બેટિંગ કરીને સ્કોરને બરાબરી પર લાવી દીધો. ટીમને 15 બોલમાં 1 રનની જરૂર હતી અને 2 વિકેટ બાકી હતી, પરંતુ અસલંકાએ શિવમ અને અર્શદીપ સિંહને સતત બોલમાં LBW આઉટ કરીને મેચ ટાઈ કરી દીધી હતી.

આ પણ વાંચો: IND vs SL: રોહિત શર્માએ શ્રીલંકા સામે મચાવી તબાહી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો