
લોર્ડ્સ ટેસ્ટમાં બુમરાહની 5 વિકેટ, રાહુલની સદી અને જાડેજાની બંને ઈનિંગ્સમાં ફિફ્ટી ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે પૂરતી નહોતી. ઈંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી. ટીમ ઈન્ડિયાની હારના ઘણા કારણો છે, પરંતુ ભારતીય કેપ્ટન શુભમન ગિલે બે ભૂલો પર ખાસ ધ્યાન આપ્યું અને તેને આ હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા.
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ તરફથી 193 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ચોથા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી અને માત્ર 58 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાને છેલ્લા દિવસે 135 રનની જરૂર હતી, અને ફક્ત 6 વિકેટ બાકી હતી. પરંતુ છેલ્લા દિવસના પહેલા સત્રમાં જ ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી દીધી, જેનાથી હાર નિશ્ચિત થઈ ગઈ. જાડેજા સાથે બુમરાહ અને સિરાજની ભાગીદારીએ ટીમની જીતની આશા વધારી પરંતુ તે પૂરતી ન હતી.
માત્ર 22 રનથી હાર્યા બાદ, કેપ્ટન શુભમન ગિલની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આવી સ્થિતિમાં પણ, તેણે આ હારના કારણો વિશે ખુલ્લેઆમ બોલવાનું ટાળ્યું નહીં. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં, કેપ્ટન ગિલે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા, જે આ મેચમાં ટીમ ઈન્ડિયાની હારમાં મહત્વપૂર્ણ સાબિત થયા. ભારતીય કેપ્ટને કહ્યું, “અમે ચોથા અને પાંચમા દિવસે એક-એક કલાક સારું રમ્યા નહીં. ટોપ ઓર્ડરે બિલકુલ સારું પ્રદર્શન કર્યું નહીં. ટોપ ઓર્ડરે ઓછામાં ઓછા 30-40 રન વધુ બનાવવા જોઈતા હતા.”
આ પછી, કેપ્ટન ગિલે વધારાના રન વિશે વાત કરી, જે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટો તફાવત સાબિત થઈ. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં કુલ 63 રન વધારાના આપ્યા, જેમાંથી 36 રન બાયથી આવ્યા. આમાં પણ 25 બાય રન ફક્ત બીજી ઈનિંગમાં આવ્યા. તેનાથી વિપરીત, ઈંગ્લેન્ડે બંને ઈનિંગમાં ફક્ત 30 રન વધારાના આપ્યા, જેમાં ફક્ત 3 રન બાયથી આવ્યા.અમે ફિલ્ડિંગમાં સુધારો કર્યો તેમ છતાં કેટલીક બિનજરૂરી ભૂલો કરી. અમે કેટલીક બાઉન્ડ્રી રોકી શક્યા હોત.”
આ પણ વાંચો: જેમ્સ એન્ડરસન માન્ચેસ્ટરમાં રમશે, વાઈલ્ડ કાર્ડ પ્લેયર તરીકે થઈ ટીમમાં પસંદગી