ટીમ ઈન્ડિયા 92 વર્ષમાં પહેલીવાર આ ખાસ દિવસ જોશે, માત્ર બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ જીતવી પડશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની બની રહી છે. તે આ મેચ જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે.

ટીમ ઈન્ડિયા 92 વર્ષમાં પહેલીવાર આ ખાસ દિવસ જોશે, માત્ર બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ જીતવી પડશે
Team India (Photo- Gareth Copley / Getty Images)
| Updated on: Sep 11, 2024 | 9:16 PM

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાથી ફરી એકવાર એક્શનમાં વાપસી કરવા જઈ રહી છે. તે બાંગ્લાદેશ સામે 2 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમશે. 19મી સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાનારી આ સિરીઝની પ્રથમ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય ક્રિકેટ માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો તે એક એવું સિદ્ધિ હાંસલ કરશે જે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી થઈ નથી.

ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક

ભારતે ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ મેચ 1932માં રમી હતી અને 1952માં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાને જીતનું ખાતું ખોલવામાં લગભગ 20 વર્ષ લાગ્યા. પરંતુ આજના સમયમાં ભારતને હરાવવું કોઈના માટે આસાન નથી. ટીમ ઈન્ડિયાને આધુનિક ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમ માનવામાં આવે છે. તે હવે મોટી સિદ્ધિ હાંસલ કરવાની ખૂબ નજીક છે.

ટેસ્ટ ક્રિકેટમાં હાર કરતા જીત વધુ કરવાની તક

વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 579 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, 178 ટેસ્ટ મેચ જીતી છે અને એટલી જ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 222 મેચ ડ્રો અને 1 મેચ ટાઈ રહી હતી. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા સિરીઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવશે તો ટીમ ઈન્ડિયાના ખાતામાં હાર કરતા જીત વધુ હશે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં હાર કરતાં વધુ જીત મેળવશે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને ક્યારેય ટેસ્ટ મેચમાં હરાવી નથી, તેથી ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની મોટી તક છે.

2000 પછી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ફેરફારો

વર્ષ 2000 સુધી ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. ટીમ ઈન્ડિયા 336 મેચોમાં માત્ર 63 મેચ જીતી શકી હતી અને 112 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતીય ક્રિકેટમાં ઘણો બદલાવ આવ્યો. 2001થી અત્યાર સુધીમાં ભારતે 243માંથી 115 મેચ જીતી છે અને માત્ર 66માં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન 62 મેચ ડ્રો રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં પણ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રોહિતની કેપ્ટન્સીમાં ભારતે 16માંથી 10 ટેસ્ટ મેચ જીતી છે અને માત્ર 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટની હાલત ખરાબ! માત્ર એક જ દિવસમાં PCBએ નવી ટૂર્નામેન્ટ બંધ કરી દીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો