
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઉભેલા વિવાદ બાદ હવે એક નવો સવાલ ઊભો થયો છે કે શું ICC ભવિષ્યમાં ભારત પાસેથી મોટી ટુર્નામેન્ટોના યજમાન અધિકાર છીનવી શકે? આગામી થોડા વર્ષોમાં ભારતમાં બે મહત્વપૂર્ણ ICC પુરુષ ટુર્નામેન્ટ યોજાનાર છે, પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા સ્થિતિ બદલાઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના અખબાર The Sydney Morning Herald ના અહેવાલમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા તણાવ બાદ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આખરે યોજાઈ હતી. 15 ફેબ્રુઆરીએ કોલંબોના R. Premadasa Stadium ખાતે રમાયેલી આ ગ્રુપ સ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. મેચ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવા છતાં, સમગ્ર ઘટનાક્રમે ભવિષ્યની ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા ઊભી કરી છે.
મેચ પહેલાં પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ICCની સમજાવટ અને કડક કાર્યવાહી અંગેની ચેતવણી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને મેચ રમવા સંમત થયું. આ વિવાદનું મૂળ બાંગ્લાદેશ સાથે જોડાયેલો હતો.
અહેવાલ મુજબ, મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર રાખવાના મુદ્દે બાંગ્લાદેશ સરકાર નારાજ થઈ હતી અને વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
આ સમગ્ર ઘટનાએ વિશ્વ ક્રિકેટમાં લગભગ એક મહિના સુધી ગરમાવો પેદા કર્યો હતો. હાલ પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે, પરંતુ ભવિષ્યમાં આ મુદ્દો ફરીથી ઉઠી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ICC ભવિષ્યમાં મોટો નિર્ણય લઈ શકે છે. જો પરિસ્થિતિ સુધરે નહીં, તો ભારત 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 ODI વર્લ્ડ કપના યજમાન અધિકાર ગુમાવી શકે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આવી પરિસ્થિતિ સર્જાય તો ઓસ્ટ્રેલિયાને બેકઅપ યજમાન તરીકે પસંદ કરવામાં આવી શકે છે. ખાસ કરીને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ સંભાવના વધુ માનવામાં આવે છે, કારણ કે આ આઠ ટીમોની ટુર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં યોજાવાની છે. જ્યારે 2031 ODI વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે, તેથી તેની સ્થિતિ થોડું અલગ હોઈ શકે છે.
હાલમાં ICC તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, રાજકીય પરિસ્થિતિ અને ભાગ લેનાર દેશોના સંબંધો ભવિષ્યની ટુર્નામેન્ટના આયોજન પર અસર કરી શકે છે. આગામી મહિનાઓમાં પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તે પર સૌની નજર રહેશે.
Video: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા
Published On - 5:05 pm, Tue, 17 February 26