
ICC T20 વર્લ્ડ કપ હવે અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે. દરેક ગ્રુપમાંથી બે ટીમો સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યારે બાકીની ટીમોને ટૂર્નામેન્ટ છોડવું પડશે. સેમિફાઈનલમાં કઈ ચાર ટીમો ક્વોલિફાય થશે તે ફક્ત જીત અને પોઈન્ટ જ નહીં પણ નેટ રન રેટ દ્વારા નક્કી થયું હતું.
ક્રિકેટમાં નેટ રન રેટનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં નેટ રન રેટ પહેલા રાઉન્ડથી ફાઈનલ સુધી પહોંચવામાં મોટો ભાગ ભજવે છે. નેટ રન રેટ ઘણીવાર કેટલીય ટીમો માટે અભિશાપ પણ સાબિત થયું છે, તો અમુક કિસ્સાઓમાં ટીમોને ફાયદો પણ થયો છે.
પોઈન્ટ સમાન હોય ત્યારે NRR ટાઈ-બ્રેકર તરીકે કામ કરે છે. એટલે ટીમો ફક્ત બે અંક મેળવવા માટે જ નહીં, પરંતુ મોટી જીત મેળવવા માટે પણ પ્રયત્નશીલ રહે છે. એક મોટી જીત ટીમનો NRR વધારી શકે છે, જ્યારે મોટી હાર તેને નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે, દરેક રન અને દરેક ઓવરનું મહત્વ વધી જાય છે
નેટ રન રેટનો મૂળ આધાર પ્રતિ ઓવર બનાવેલા અને અપાયેલા રન પર છે. નેટ રન રેટની ગણતરીનું સૂત્ર છે:
NRR = (કુલ બનાવેલા રન ÷ કુલ રમેલી ઓવર) − (કુલ અપાયેલા રન ÷ કુલ ફેંકેલી ઓવર).
આ ગણતરીથી સ્પષ્ટ થાય છે કે ટીમ જેટલા ઝડપી રન બનાવે અને ઓછા રન આપે, તેટલો તેનો NRR સારો રહેશે.
ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ 20 ઓવરમાં 180 રન બનાવે છે અને સામેની ટીમને 160 રનમાં રોકે છે, તો તેનો રન રેટ વધુ રહેશે. પરંતુ જો ટીમ ઓવર પૂરી થતાં પહેલા ઓલઆઉટ થઈ જાય, તો તેની સંપૂર્ણ 20 ઓવર ગણવામાં આવે છે. આ નિયમ ટીમને વહેલા ઓલઆઉટ થવાથી નુકસાન પહોંચાડે છે.
બીજી તરફ, જો કોઈ ટીમ લક્ષ્ય 20 ઓવર પહેલા હાંસલ કરે, તો તે જેટલી ઓવર રમે છે તેટલી જ ગણવામાં આવે છે. માનો કે ટીમ 12 ઓવરમાં જ લક્ષ્ય સુધી પહોંચી જાય, તો તેની ‘ઓવર્સ ફેસ્ડ’ 12 ગણાશે, જે તેના NRR ને વધારશે. એટલે જલ્દી ચેઝ કરવું ફાયદાકારક બને છે.
એક ઉદાહરણ તરીકે, જો ટીમ 18.5 ઓવરમાં ઓલઆઉટ થઈ જાય, તો ગણતરી માટે 20 ઓવર જ ગણાશે. આથી તેનો સરેરાશ રન રેટ ઘટી શકે છે. આમ, નેટ રન રેટ માત્ર આંકડો નથી, પરંતુ ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટેનું મહત્વપૂર્ણ હથિયાર છે.
Published On - 6:14 pm, Mon, 2 March 26