
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2024 માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા આવતા વર્ષે આ ખિતાબ બચાવવા જશે અને BCCI આ માટે કોઈ કસર છોડવા માંગતું નથી. ટીમ પોતાનો ત્રીજો ખિતાબ જીતવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. હાલમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, BCCI એ ધોનીને ‘મેન્ટર’ બનવાની ઓફર કરી છે.
ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે વર્ષ 2007 માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેની કેપ્ટનશીપ હેઠળ ભારત વર્ષ 2014 માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું. ધોની વર્ષ 2021 ના T20 વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ટીમ સાથે ગયો હતો. હવે મીડિયા રિપોર્ટસ અનુસાર, BCCI ફરી એકવાર તેને આ પદ પર લાવશે તેવી સંભાવના છે.
T20 વર્લ્ડ કપ-2026 ને ધ્યાનમાં રાખીને, BCCI એ ધોનીને ‘ટીમ મેન્ટર’ બનવાની ઓફર કરી છે. જણાવી દઈએ કે, Cricblogger નામની વેબસાઇટે BCCI ના સૂત્રોને ટાંકીને તેના અહેવાલમાં આ વાત કહી છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર કહેવામાં આવ્યું છે કે, “ધોનીને ફરી એકવાર ભારતીય ક્રિકેટમાં મેન્ટર બનવાની ઓફર કરવામાં આવી છે.”
ધોનીએ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ત્યારથી તે ફક્ત IPL રમે છે. ધોનીને વિશ્વના મહાન કેપ્ટનોમાંના એક માનવામાં આવે છે. ધોનીને ખેલાડીઓની સારી સમજ છે અને ખેલાડીઓના ટેલેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણે છે.
હવે પ્રશ્ન એ છે કે, જો BCCI એ ધોનીને ઓફર કરી છે, તો શું તે તેને સ્વીકારશે? એ જોવું રસપ્રદ રહેશે કારણ કે, હાલમાં ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ છે. ધોની અને ગંભીરના સંબંધો સારા માનવામાં આવતા નથી. ગંભીર ઘણી વખત ધોની વિરુદ્ધ નિવેદનો આપતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, જો ધોનીને આ ઓફર મળી હોય તો તે આ ઓફરને નકારી શકે તેવી શક્યતા છે.