
IPL માં ખેલાડીઓનો પગાર ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા નક્કી થાય છે, જે ઓક્શન દરમિયાન ખેલાડીઓને ખરીદે છે. પરંતુ જો કોઈ ખેલાડી ભારતીય ટીમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે, તો તેના માટે અલગ જ નીતિ લાગુ પડે છે. આવા કેસમાં ખેલાડીને IPL નો પગાર મળવાની વ્યવસ્થા BCCI દ્વારા કરવામાં આવી છે.
BCCI ના નિયમ મુજબ, જો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતો ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય કે પ્રેક્ટિસ મેચ રમતા સમયે ઇજાગ્રસ્ત થાય અને તેના કારણે IPL સિઝન ચૂકી જાય, તો તેને તેની સંપૂર્ણ સેલેરી આપવામાં આવે છે. આ રકમ ફ્રેન્ચાઇઝી નહીં પરંતુ BCCI ચૂકવે છે. આ નિયમનો ઉદ્દેશ ખેલાડીઓની આર્થિક સુરક્ષા જાળવવાનો છે.
આ નિયમ વર્ષ 2011 થી અમલમાં છે. BCCI એ ખેલાડીઓને સુરક્ષા આપવા માટે આ વ્યવસ્થા શરૂ કરી હતી, કારણ કે ઘણા ખેલાડીઓ દેશ માટે રમતા સમયે ઇજાગ્રસ્ત થઈ જતા હતા અને પછી IPL માં રમવા અસમર્થ બનતા હતા. આવા સમયમાં ખેલાડીઓને આર્થિક નુકસાન ન થાય તે માટે આ નિયમ બનાવાયો હતો.
આ નિયમનો લાભ અગાઉ કેટલાક ફેમસ ખેલાડીઓ પણ લઈ ચૂક્યા છે. ઇજાના કારણે IPL ચૂકી ગયેલા ખેલાડીઓને BCCI દ્વારા તેમની સંપૂર્ણ સેલેરી આપવામાં આવી છે. તેથી ખેલાડી ટીમ માટે મેદાનમાં ઉતરી ન શકે તો પણ તેની કમાણી પર કોઈ અસર પડતી નથી.
પરંતુ દરેક ખેલાડી માટે આ નિયમ લાગુ પડતો નથી. જો કોઈ ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે પ્રેક્ટિસ કરતી વખતે અથવા વ્યક્તિગત કારણોસર ઇજાગ્રસ્ત થાય, તો એ સ્થિતિમાં BCCI આ ખર્ચ ઉઠાવતી નથી. આવા કેસમાં ટીમ અને ખેલાડી વચ્ચેના કરાર મુજબ પગાર વિશે નિર્ણય લેવામાં આવે છે.
તે ઉપરાંત જો કોઈ ખેલાડી વ્યક્તિગત કારણોસર અથવા શિસ્તભંગના કારણે સિઝનમાંથી બહાર થાય, તો તેને સંપૂર્ણ પગાર મળવાની ખાતરી રહેતી નથી. એટલે IPL અને BCCI બંનેના નિયમો ખેલાડીઓની સુરક્ષા સાથે સાથે જવાબદારી પણ નક્કી કરે છે.
Published On - 5:00 pm, Sat, 14 March 26