
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત માટે હજુ થોડો સમય બાકી છે. પરંતુ તે પહેલાં બધા ઈન્ડિયા-A ટીમની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શુક્રવાર, 16 મેના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ શ્રેણીની મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કમાન અનુભવી બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. આ ટીમમાં ઈશાન કિશનની પણ વાપસી થઈ છે.
IPL 2025 સિઝન ફરી શરૂ થવાના એક દિવસ પહેલા ભારતીય બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે 2 ફર્સ્ટ ક્લાસ મેચ અને એક પ્રેક્ટિસ મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી હતી. અપેક્ષા મુજબ, બંગાળના અનુભવી ઓપનર અભિમન્યુ ઈશ્વરનને ટીમની કમાન સોંપવામાં આવી છે. અગાઉ, ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઈન્ડિયા-એ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ આ વખતે તે ટીમનું નેતૃત્વ કરી રહ્યો નથી. જોકે, તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
30 મેથી શરૂ થતી આ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમની ખાસ વાત એ છે કે અનુભવી બેટ્સમેન કરુણ નાયરને ઘણા વર્ષો પછી ભારતીય ટીમમાં પાછા ફરવાની તક મળી છે. ગત ડોમેસ્ટિક સિઝનમાં ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-A ક્રિકેટમાં 1600 થી વધુ રન અને 9 સદી ફટકારનાર કરુણને ટીમ ઈન્ડિયામાં બોલાવવાની સતત માંગ થઈ રહી હતી. આવી સ્થિતિમાં, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ઈન્ડિયા-Aમાં તક મળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે અહીં સારું પ્રદર્શન કરશે તો તે ટેસ્ટ ટીમમાં પણ વાપસી કરી શકે છે.
અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે, શુભમન ગિલ અને સાઈ સુદર્શન (બંને બીજી મેચથી ઉપલબ્ધ થશે).
આ પણ વાંચો: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું થયું ઉદ્ઘાટન, આ 2 ખાસ લોકોએ દબાવ્યું બટન
Published On - 8:12 pm, Fri, 16 May 25