ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતનું ગૌરવ કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 જન જાગૃતિ અભિયાનમાં જોડાયા

ગુજરાતના ગૌરવ અને રમતગમત જગતના પ્રતીક કરસન ઘાવરીને વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા આગામી વસ્તીગણતરી 2027 ના બંને તબક્કાઓ માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતનું ગૌરવ કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 જન જાગૃતિ અભિયાનમાં જોડાયા
karsan ghavri
Image Credit source: X
| Updated on: Jun 04, 2026 | 9:29 PM

ગુજરાતના ગૌરવ અને ભારતીય ક્રિકેટના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી કરસન ઘાવરીને વસ્તી ગણતરી 2027ના જનજાગૃતિ અભિયાન માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા તેમને બંને તબક્કાની વસ્તીગણતરી માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે.

વસ્તીગણતરીને સફળ બનાવવા જનજાગૃતિ અભિયાન

ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા અને પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન આગામી વસ્તીગણતરી 2027ને સફળ બનાવવા માટે જનજાગૃતિ અભિયાનની રૂપરેખા અને નાગરિકોની ભાગીદારી વધારવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પૂર્વ ક્રિકેટર ગૌરવ કરસન ઘાવરી અભિયાનમાં જોડાયા

વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે કરસન ઘાવરીનું વ્યક્તિત્વ, તેમની રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ અને સમગ્ર ગુજરાતમાં તેમની લોકપ્રિયતા વસ્તીગણતરી જેવા રાષ્ટ્રીય કાર્યમાં જનસહભાગિતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમની ઉપસ્થિતિ નાગરિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવામાં પણ મદદરૂપ બનશે.

 

ગુજરાતનું ગૌરવ છે કરસન ઘાવરી

રાજકોટ સાથે ગાઢ જોડાણ ધરાવતા કરસન ઘાવરી ગુજરાતના જાણીતા રમતવીરોમાંના એક છે. એક શિસ્તબદ્ધ અને સમર્પિત ખેલાડી તરીકે તેમણે વર્ષો સુધી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની સાદગી અને લોકપ્રિયતા તેમને સમાજના વિવિધ વર્ગો સાથે સરળતાથી જોડાવા સક્ષમ બનાવે છે.

કરસન ઘાવરીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

કરસન દેવજીભાઈ ઘાવરીનો જન્મ 28 ફેબ્રુઆરી, 1951ના રોજ રાજકોટમાં થયો હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને ઉપયોગી બેટ્સમેન તરીકે તેમણે 1974થી 1981 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 39 ટેસ્ટ અને 19 વન-ડે મેચોનો સમાવેશ થાય છે.

જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ યોગદાન

ઉલ્લેખનીય છે કે કરસન ઘાવરીએ 1975 અને 1979ના પ્રથમ બે ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે તેઓ વસ્તીગણતરી 2027 જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન સાથે જોડાતા રાજ્યભરમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને જનભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…

Published On - 9:27 pm, Thu, 4 June 26

Follow Us