ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંગાળ ક્રિકેટ ટીમ (Bengal Cricket Team) ને ઝટકો આપ્યો છે. એવા અહેવાલો હતા કે બંગાળની ટીમ નામીબિયામાં ગ્લોબલ ટી20 ટૂર્નામેન્ટ (Namibia Global T20 League) માં રમશે. પરંતુ બીસીસીઆઈએ તેના પ્રયાસમાં અવરોધ ઉભો કર્યો છે. અહેવાલ છે કે BCCI એ બંગાળની ટીમને આ ટૂર્નામેન્ટમાં રમવાની પરવાનગી આપી નથી અને તેથી જ બંગાળની ટીમે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. BCCI તેના કોઈપણ પુરુષ ખેલાડીને વિદેશમાં T20 ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપતું નથી. બંગાળની ટીમને મંજૂરી ન આપવા પાછળ પણ આ કારણ હોવાનું માનવામાં આવે છે.
અન્ય દેશોના ક્રિકેટ બોર્ડે તેમના ક્રિકેટરોને અન્ય દેશોની T20 લીગમાં રમવાની મંજૂરી આપી છે. પરંતુ ભારતીય ક્રિકેટરો પાસે આવી સુવિધાઓ નથી. એટલા માટે ભારતીય ખેલાડીઓ સક્રિય રહીને અન્ય કોઈ દેશની લીગમાં રમી શકતા નથી.
તો ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના એક અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે કે, આ ટૂર્નામેન્ટનું ફોર્મેટ તેનું મુખ્ય કારણ હોઇ શકે છે. વેબસાઈટ ESPNcricinfo એ CAB અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “અહીં ફોર્મેટમાં કોઈ સમસ્યા હોવાનું જણાય છે. એવું લાગે છે કે જો તે T20 ફોર્મેટમાં ન હોત તો કોઈ સમસ્યા ન હોત.”
નામીબિયામાં યોજાનારી આ ટુર્નામેન્ટની વાત કરીએ તો બંગાળની ટીમ નામીબિયા, પાકિસ્તાન સુપર લીગની ટીમ લાહોર કલંદર્સ અને દક્ષિણ આફ્રિકાની હોમ ટીમ સામે રમવાની હતી. આ ટુર્નામેન્ટ 1 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રમવાની હતી. હવે જ્યારે બંગાળ આ ટુર્નામેન્ટમાંથી ખસી ગયું છે તો આ ટુર્નામેન્ટની સમય મર્યાદામાં ઘટાડો થશે. જો કે CAB એ 22 જુલાઈએ તેની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં આકાશદીપ, મુકેશ કુમાર, ઈશાન પોરેલ, શાહબાઝ અહેમદ, રિતિક ચેટર્જીને જગ્યા મળી છે.
નામિબિયા ક્રિકેટ (Naminia Cricket) નો પ્રયાસ આ ટૂર્નામેન્ટથી T20 વર્લ્ડ કપ 2022ની તૈયારી કરવાનો છે. આ વર્લ્ડ કપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. ગયા વર્ષે UAE માં રમાયેલા વર્લ્ડ કપમાં આ ટીમ સુપર 12માં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. આ વખતે પણ આ ટીમ વધુ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે. નામિબિયા એવી ટીમ છે જે ODI વર્લ્ડ કપમાં પણ રમી ચૂકી છે. આ ટીમે 2003 ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.