
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંબંધો બગડી રહ્યા છે. આનાથી હવે તેમના ક્રિકેટ સંબંધો પર અસર પડી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ અને ભારત વિરોધી વાતાવરણને ધ્યાનમાં રાખીને BCCI એ હવે કેટલાક કડક પગલાં લીધાં છે.
IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમવાના બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાનો આદેશ આપ્યા પછી ભારતીય બોર્ડે દ્વિપક્ષીય શ્રેણી (Bilateral Series) પર પણ રોક લગાવી દીધી છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ODI અને T20 સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો પરંતુ બોર્ડે હવે તેને મુલતવી રાખ્યો છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે, બાંગ્લાદેશમાં બનેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર આ પ્રવાસને હાલ અસ્થાયી રીતે સ્થગિત કર્યો છે.
બોર્ડ હવે આ બાબતે ભારત સરકાર સાથે ચર્ચા કરશે અને તેમની સલાહના આધારે આગળના નિર્ણયો લેશે. ત્યારબાદ તે આ નિર્ણયની જાણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને કરશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે, ટીમ ઈન્ડિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ત્રણ ODI અને ત્રણ T20 મેચ રમાશે. જો કે, બાંગ્લાદેશ બોર્ડે સત્તાવાર રીતે સિરીઝની જાહેરાત કર્યાના બીજા જ દિવસે BCCI એ તેને અસ્થાયી રૂપે મુલતવી રાખવાનો નિર્ણય લીધો.
જો BCCIનો નિર્ણય ફાઇનલ છે, તો તેનાથી BCB ને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. આર્થિક રીતે પહેલેથી જ નબળા આ બોર્ડને ભારત પ્રવાસથી નોંધપાત્ર આવકની અપેક્ષા હતી. કોઈપણ દેશમાં ટીમ ઇન્ડિયાનો પ્રવાસ તે દેશને કરોડોની આવક કરાવે છે.
આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાનો પ્રવાસ રદ થવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પોન્સરશિપ અને બ્રોડકાસ્ટિંગ ડીલમાંથી મળનારા કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હાલના સંજોગો બાંગ્લાદેશ ટીમની T20 વર્લ્ડ કપમાં ભાગીદારી પર કોઈ અસર કરશે નહીં. બાંગ્લાદેશે કોલકાતામાં પણ પોતાના કેટલાક મુકાબલા રમવાના છે અને BCCI ના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તેના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
જો કે, આ સ્થિતિ પાકિસ્તાન જેવી પણ બની શકે છે, જ્યાં ભારતીય ટીમ હવે પાકિસ્તાની ટીમ સામે માત્ર વર્લ્ડ કપ અથવા એશિયા કપમાં જ રમે છે.
Published On - 4:48 pm, Sun, 4 January 26