બાબર આઝમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો કેપ્ટન રહેશે, 2 દિગ્ગજોના કારણે બચી કેપ્ટનશીપ

બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાનને T20 વર્લ્ડ કપ 2024માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં આ ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી શકે છે. બીજી તરફ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ હારી જવા છતાં માત્ર શાન મસૂદ જ ટેસ્ટ ટીમના કેપ્ટન રહી શકે છે.

બાબર આઝમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો કેપ્ટન રહેશે, 2 દિગ્ગજોના કારણે બચી કેપ્ટનશીપ
Babar Azam (PC-PTI)
| Updated on: Sep 09, 2024 | 7:38 PM

બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાન ટીમની હાલત બગડી છે. એવામાં અહેવાલ હતા કે કેપ્ટન બદલાશે. પરંતુ  PCBના રિપોર્ટ અનુસાર, મુખ્ય કોચ ગેરી કર્સ્ટન ઈચ્છે છે કે કેપ્ટનશિપમાં વધારે ફેરફાર ન થાય. હાલમાં બાબર આઝમ T20 ટીમનો કેપ્ટન છે અને પાકિસ્તાને હજુ સુધી ODI કેપ્ટનની જાહેરાત કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર, બાબર જ વનડે ટીમની કમાન સંભાળશે. આટલું જ નહીં બાબર આઝમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં પણ ટીમની કમાન સંભાળી શકે છે.

શાન મસૂદ પણ કેપ્ટન રહેશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત હાલ ખરાબ છે. પહેલા આ ટીમ T20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી અને ત્યાર બાદ બાંગ્લાદેશે તેને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. આ પ્રદર્શન બાદ એવા અહેવાલો આવ્યા હતા કે બાબર આઝમને T20 ટીમના અને શાન મસૂદને ટેસ્ટ ટીમના સુકાનીપદેથી હટાવી શકાય છે, પરંતુ હવે એવા અહેવાલો આવ્યા છે કે બાબર અને શાન મસૂદ બંને કેપ્ટન રહેશે. તેનું કારણ ODI-T20 કોચ ગેરી કર્સ્ટન અને ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પી છે. આ બંને દિગ્ગજોએ PCBને વારંવાર કેપ્ટન ન બદલવાની સલાહ આપી છે.

પાકિસ્તાનનો કેપ્ટન નહીં બદલાય?

PCBના એક સૂત્રએ માહિતી આપી છે કે શાન મસૂદ અને બાબરની કેપ્ટન્સી અંગે તાજેતરની મીડિયા અટકળો માત્ર અફવાઓ સિવાય કંઈ નથી. PCB અધિકારીના જણાવ્યા અનુસાર, કેપ્ટન બદલવા અંગે કોઈ ચર્ચા થઈ નથી, કારણ કે PCB અધ્યક્ષ મોહસિન નકવીએ આ નિર્ણય કોચ અને પસંદગીકારો પર છોડી દીધો છે. કર્સ્ટન અને ગિલેસ્પીનો દૃષ્ટિકોણ ઘણો સમાન છે. તે પોતાના નેતૃત્વનું મૂલ્યાંકન કરવા માટે કેપ્ટનને સંપૂર્ણ સમય આપવા માંગે છે. સૂત્રએ કહ્યું કે બંને કોચ કેપ્ટનશિપમાં સાતત્ય ઈચ્છે છે અને તેઓએ PCBને આ વાત જણાવી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે બાબર અને શાન મસૂદની કેપ્ટનશીપ અત્યારે ખતરામાં નથી અને મોહમ્મદ રિઝવાન ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનવાનો નથી.

લાહોરમાં વર્કશોપ યોજાશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી સમાચાર મળ્યા છે કે આ મહિનાના અંતમાં લાહોરમાં એક વર્કશોપ યોજાવા જઈ રહ્યો છે, જેમાં કેપ્ટનશીપ કે ટીમની પસંદગી અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. આમાં તમામ ખેલાડીઓ અને સ્થાનિક ટીમોના કોચ અને પસંદગીકારોને આવશે. આ વર્કશોપનો ઉદ્દેશ્ય પાકિસ્તાન ક્રિકેટમાં એવા સકારાત્મક ફેરફારો લાવવાનો છે જેનો તેમને લાંબા ગાળે ફાયદો થાય.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડની પોતાના જ ઘરમાં થઈ હાલત ખરાબ, સિરીઝ જીતી પરંતુ અંતિમ મેચમાં મળી મોટી હાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:36 pm, Mon, 9 September 24