4 વર્લ્ડ કપ રમ્યા, ભારત માટે સૌથી વધુ 44 વિકેટ લીધી… છતાં મેટ્રોમાં ઊભા રહીને કરી ‘મુસાફરી’

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઝડપી બોલરની એક વાયરલ તસવીરે હાલ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. બેંગલુરુની 'નમ્મા મેટ્રો' માં હાથમાં ટ્રોલી બેગ લઈને એક ખૂણામાં ઊભા રહીને મુસાફરી કરી રહેલા ભારતીય ક્રિકેટના દિગ્ગજ બોલરનો આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

4 વર્લ્ડ કપ રમ્યા, ભારત માટે સૌથી વધુ 44 વિકેટ લીધી... છતાં મેટ્રોમાં ઊભા રહીને કરી મુસાફરી
| Updated on: Aug 30, 2026 | 8:32 PM

ભારતીય ક્રિકેટના પૂર્વ ઝડપી બોલર જવગલ શ્રીનાથની એક તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. શ્રીનાથ તાજેતરમાં બેંગલુરુની ‘નમ્મા મેટ્રો’ માં મુસાફરી કરતા નજરે પડ્યા હતા. ખાસ વાત એ રહી કે, તેમના હાથમાં ટ્રોલી બેગ હતી અને તેઓ મેટ્રોની અંદર ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. તેમની આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

મેટ્રોમાં ઊભેલા દેખાયા ‘જવગલ શ્રીનાથ’

તસવીરમાં જવગલ શ્રીનાથ મેટ્રોના એક ખૂણામાં ઊભેલા નજરે પડે છે. તેમની પાસે એક ટ્રોલી બેગ પણ રાખેલી છે. અહેવાલ મુજબ, તેમને મેટ્રોમાં બેસવા માટે સીટ ન મળી. શ્રીનાથને આ રીતે સામાન્ય મુસાફરો વચ્ચે મુસાફરી કરતા જોઈને ઘણા લોકો તેમની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એ વાત પર સવાલ ઉઠાવ્યા કે, શું તેમને ઓળખ્યા પછી પણ કોઈ મુસાફરે તેમને પોતાની સીટ ઓફર ન કરી? એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો મેટ્રોમાં હાજર લોકોએ શ્રીનાથને ઓળખી લીધા હતા, તો કોઈએ તેમને સીટ આપવી જોઈતી હતી. આ બાબતે ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

ફેન્સે સાદગીની કરી પ્રશંસા

જો કે, આ તસવીરને લઈને દરેક પ્રતિક્રિયા નારાજગીવાળી ન હતી. ઘણા ક્રિકેટ ફેન્સે શ્રીનાથની સરળ રીતે મુસાફરી કરવાની રીતના વખાણ કર્યા. લોકોને એ વાત ગમી કે, ભારતીય ક્રિકેટનું આટલું મોટું નામ હોવા છતાં તેઓ સામાન્ય લોકોની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા નજરે પડ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરે ફરી એકવાર દર્શાવ્યું કે, ક્રિકેટ સાથે જોડાયેલી મોટી હસ્તીઓનું સામાન્ય જીવન પણ લોકો માટે રસનો વિષય બની જાય છે.

ભારતના દિગ્ગજ ઝડપી બોલર રહ્યા છે ‘શ્રીનાથ’

જવગલ શ્રીનાથ ભારતીય ક્રિકેટના સૌથી સફળ ઝડપી બોલરોમાંના એક છે. તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ શ્રીનાથ રમત સાથે જોડાયેલા રહ્યા. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રેફરીની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. શ્રીનાથની મેટ્રોવાળી તસવીર સામે આવ્યા બાદ તેમની ક્રિકેટ કારકિર્દી કરતાં વધુ તેમની સાદગી ચર્ચામાં છે.

કોઈના માટે આ સીટ ન મળવાની વાત છે, તો કોઈના માટે આ એક મોટા ક્રિકેટરનું સામાન્ય લોકોની જેમ મુસાફરી કરવું છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરને લઈને એ જ ચર્ચા છે કે, આખરે આટલા મોટા ક્રિકેટરને ઓળખ્યા પછી પણ કોઈએ તેમને સીટ ઓફર કેમ ન કરી? એવામાં હવે આ તસવીર પરથી એ નક્કી ન કરી શકાય કે, મેટ્રોમાં હાજર મુસાફરોએ તેમને ઓળખ્યા હતા કે નહીં?

માત્ર રોહિત, સચિન અને સેહવાગે જ કરેલું છે આ કારનામું, જાણો ક્રિકેટ ઈતિહાસના એ અનોખા રેકોર્ડ વિશે

Follow Us
Loading...
Unable to load recommendations.