વર્લ્ડ કપ 2023ના આયોજનથી ભારતને 11,637 કરોડ રૂપિયાનો ફાયદો થયો, ICCના રિપોર્ટમાં મોટો ખુલાસો

ODI વર્લ્ડ કપ ગયા વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં રમાયો હતો, જેનું આયોજન 10 શહેરોમાં કરવામાં આવ્યું હતું. શાનદાર પ્રદર્શન છતાં ભારતીય ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ભારત ભલે ટ્રોફી ન જીતી શક્યું, પરંતુ તે દેશના અર્થતંત્ર માટે દરેક રીતે સફળ સાબિત થયું હતું.

વર્લ્ડ કપ 2023ના આયોજનથી ભારતને 11,637 કરોડ રૂપિયાનો ફાયદો થયો, ICCના રિપોર્ટમાં મોટો ખુલાસો
World Cup 2023
| Updated on: Sep 11, 2024 | 5:01 PM

ટીમ ઈન્ડિયા ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ટાઈટલ જીતવાનું ચૂકી ગઈ હતી. ફાઈનલમાં હારને કારણે કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ભારત ભલે ટ્રોફી ન જીતી શક્યું પરંતુ આ વર્લ્ડ કપથી દેશને હજારો કરોડનો ફાયદો થયો છે. ICCએ વર્લ્ડ કપના 10 મહિના પછી એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બર 2023માં રમાયેલ ટૂર્નામેન્ટથી ભારતીય અર્થતંત્રને 11 હજાર કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો છે, જેમાં પ્રવાસન, સ્ટેડિયમ અપગ્રેડેશન અને ખાવા-પીવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

45 દિવસની ટુર્નામેન્ટથી 11637 કરોડનો ફાયદો

ICC એ બુધવારે, 11 સપ્ટેમ્બરે ભારતીય અર્થવ્યવસ્થા પર વર્લ્ડ કપ 2023ની અસર અંગે વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 45 દિવસ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર 1.39 અબજ ડોલર એટલે કે 11,637 કરોડ રૂપિયાની સીધી આર્થિક અસર પડી છે. આ લાભ મુખ્યત્વે વિશ્વ કપના 10 યજમાન શહેરો દ્વારા મળ્યો છે, જ્યાં સ્ટેડિયમોમાં કરવામાં આવેલા સુધારાને કારણે બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં ICC અને BCCI દ્વારા જંગી રોકાણ થયું છે, પરંતુ આ શહેરોમાં પ્રવાસીઓની અવરજવરમાં પણ વધારો થયો છે.

પ્રવાસનમાંથી સૌથી વધુ કમાણી

વર્લ્ડ કપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓ યજમાન શહેરોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ માત્ર મેચો જ જોઈ ન હતી પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. પ્રવાસીઓના આવવા-જવા, રહેવા, મુસાફરી અને ખાવા-પીવાથી લગભગ રૂ. 7222 કરોડની કમાણી થઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્લ્ડ કપને કુલ 12.5 લાખ લોકોએ મેદાનમાં જોયો, જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ પ્રેક્ષકોનો રેકોર્ડ છે. તેમાંથી 75 ટકા ચાહકો પ્રથમ વખત વર્લ્ડ કપ જોવા આવ્યા હતા. એટલું જ નહીં, 19 ટકા વિદેશી મુલાકાતીઓ પ્રથમ વખત ભારત આવ્યા હતા. આ સિવાય વર્લ્ડ કપ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કુલ 48 હજાર કાયમી અને અસ્થાયી નોકરીઓ પણ સર્જાઈ હતી.

શાનદાર પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયા હારી ગઈ

જ્યાં સુધી વર્લ્ડ કપની વાત છે, તેની શરૂઆત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદમાં રમાયેલી મેચથી થઈ હતી, જે અમદાવાદમાં જ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ ફાઈનલ સાથે સમાપ્ત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી અને ટૂર્નામેન્ટમાં માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો હતો, જે હાર કમનસીબે ફાઈનલમાં આવી હતી.

આ પણ વાંચો: 37 વર્ષની ઉંમરે પણ ‘હિટમેન’ રોહિત શર્માનો ICC રેન્કિંગમાં દબદબો યથાવત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો