
પંજાબ કિંગ્સે IPL 2026માં જીતનો શાનદાર પ્રારંભ કર્યો છે, પરંતુ ટીમને એક જ ભૂલ માટે સતત બીજી વાર સજા ભોગવવી પડી છે. ટીમે પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવી હતી અને ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સને તેમના ઘરઆંગણે પરાજિત કરી સતત બીજી જીત મેળવી. તેમ છતાં, બંને મેચમાં સ્લો ઓવર રેટની ભૂલ ફરી થતાં કેપ્ટન શ્રેયસ ઐયર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ચેન્નઈમાં 3 એપ્રિલે રમાયેલા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરીને પંજાબ કિંગ્સ સામે 210 રનનું લક્ષ્ય મૂકી દીધું હતું. પંજાબે આ લક્ષ્ય 19મા ઓવરમાં જ હાંસલ કરીને જીત મેળવી લીધી. પરંતુ આ જીત પછી પણ ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ, કારણ કે તેઓ ફરી એકવાર સ્લો ઓવર રેટના નિયમનો ભંગ કરી બેઠા.
મેચ બાદ જાહેર થયેલી માહિતી અનુસાર, શ્રેયસ ઐયર પર ₹24 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. IPLના નિયમો અનુસાર આ સીઝનમાં તેમની આ બીજી ભૂલ હોવાથી દંડની રકમ ડબલ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ તેમને ₹12 લાખનો દંડ થયો હતો. આમ, માત્ર બે મેચમાં જ અય્યરને કુલ ₹36 લાખનું નુકસાન ભોગવવું પડ્યું છે.
આ વખતે ફક્ત કેપ્ટન જ નહીં પરંતુ આખી ટીમને પણ આ ભૂલનો ભોગ બનવું પડ્યું છે. નિયમ મુજબ, જો ટીમ પ્રથમ વખત સ્લો ઓવર રેટ કરે તો ફક્ત કેપ્ટન પર દંડ લાગુ પડે છે, પરંતુ બીજી વાર એ જ ભૂલ થાય તો પ્લેઇંગ ઇલેવન (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) પર પણ કાર્યવાહી કરવામાં આવે છે.
આ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનનાર પ્રિયાંશ આર્યાએ પોતાની આક્રમક બેટિંગથી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં, તેમને પણ દંડથી બચી શક્યા નહીં. શ્રેયસ અય્યર સિવાય પ્રિયાંશ આર્યા સહિત ટીમના અન્ય ખેલાડીઓ પર ₹6 લાખ અથવા તેમની મેચ ફીનું 25 ટકા (જે ઓછું હોય તે) દંડ તરીકે વસૂલવામાં આવ્યું છે.
પંજાબ કિંગ્સ માટે આ સિઝનની શરૂઆત ભલે જોરદાર રહી હોય, પરંતુ સ્લો ઓવર રેટની સમસ્યા ટીમ માટે ચિંતાજનક બની રહી છે. જો ટીમ આ ભૂલને સુધારે નહીં, તો આગળ જઈને વધુ કડક સજા, જેમ કે કેપ્ટન પર મેચ બેન, પણ લાગી શકે છે.
આ રીતે, પંજાબ કિંગ્સે મેદાન પર પોતાની તાકાત બતાવી છે, પરંતુ નિયમોના પાલનમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
Published On - 9:19 am, Sat, 4 April 26