
ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. આઈપીએલ 2026 બાદ ભારતીય ટીમ પોતાના ઘર આંગણે એક ટેસ્ટ અને 3 મેચની વનડે સીરિઝ રમશે. આ મેચ જૂન મહિનામાં રમાશે. તેમજ બીસીસીઆઈએ શેડ્યુલની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં એક એવી ટીમ ભારત આવી રહી છે જેના વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી એક પણ વનડે સીરિઝ રમી નથી. એટલા માટે આ સીરિઝ ચાહકો માટે ખુબ રોમાંચક રહેશે.
બીસીસીઆઈએ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસ 2026ના શેડ્યુલની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ જૂન 2026માં થશે. જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચની સાથે 3 વનડે ઈન્ટરનેશનલ મેચ પણ રમાશે. પ્રવાસની શરુઆત ટેસ્ટ મેચથી થશે. જે 6 થી 10 જૂનના રોજ ચંદીગઢમાં રમાશે. આ બંન્ને દેશ વચ્ચે આ બીજી ટેસ્ટ મેચ હશે. આ પહેલા વર્ષ 2018માં આ બંન્ને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જે અફઘાનિસ્તાનની ટીમની પહેલી ટેસ્ટ મેચ હતી.
ત્યારબાદ વનડે સીરિઝની શરુઆત 14 જૂનથી થશે. આ બંન્ને ટીમો વચ્ચે આ પહેલી વનડે સીરિઝ હશે. આ પહેલા માત્ર આઈસીસી ઈવેન્ટ અને એશિયા કપમાં બંન્ને ટીમ આમને-સામને વનડે ફોર્મેટમાં રમી હતી. આ મેચ ધર્મશાળા,લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે એક મોટી તક છે કારણ કે, તેને વર્લ્ડની ટોપ ટીમ વિરુદ્ધ રમવાની તક મળશે. આ સીરિઝથી ટીમ ઈન્ડિયા પણ 2027 વનડે વર્લ્ડકપની તૈયારી શરુ કરશે.
આ સીરિઝ ભારતીય ચાહકો માટે ખુબ ખાસ રહેવાની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એક વખત ફરી એક્શનમાં જોવા મળશે. પરંતુ હાલમાં બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી નથી. ટીમનું સિલેક્શન આઈપીએલ 2026 બાદ કરવામાં આવશે.
Published On - 12:36 pm, Mon, 2 March 26