EPFO માં જમા કરાયેલ રૂપિયાનું સરકાર શું કરે છે ? તેનું રોકાણ કરવામાં આવે છે કે પછી બેંકમાં રહે છે?

ઘણા કર્મચારીઓને એ પ્રશ્ન થાય છે કે, તેમના પીએફમાં જમા થયેલા રૂપિયાનું આખરે શું થાય છે? શું તે ફક્ત પીએફ ખાતામાં જ જમા થાય છે કે પછી સરકાર તેને બીજે ક્યાંક રોકાણ કરીને વધારી દે છે?

EPFO માં જમા કરાયેલ રૂપિયાનું સરકાર શું કરે છે ? તેનું રોકાણ કરવામાં આવે છે કે પછી બેંકમાં રહે છે?
| Updated on: Dec 06, 2025 | 8:37 PM

આપણામાંથી મોટાભાગના લોકો નોકરી કરતી વખતે દર મહિને સેલેરી સ્લિપ પર PF કપાતા જુએ છે. સરકારી કે ખાનગી ક્ષેત્રની નોકરીમાં EPF ને તમારી બચતનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

દર મહિને તમારા પગારનો એક ભાગ (સામાન્ય રીતે 12%) EPF ખાતામાં જમા થાય છે અને તમારા એમ્પ્લોયર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે. એવામાં પ્રશ્ન એ છે કે, શું આ ફંડ ફક્ત ખાતામાં જ રહે છે કે પછી સરકાર તેને ક્યાંક રોકાણ કરે છે?

શું તમારા ખાતામાં PF ના રૂપિયા જમા થાય છે?

તમારા EPF ના રૂપિયા સુરક્ષિત છે પરંતુ તે ફક્ત તમારા ખાતામાં રહેતા નથી. EPFO તેમાં રોકાણ કરે છે, જેથી તમે વ્યાજ મેળવી શકો.

‘EPFO’ સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા નિર્ધારિત ગાઈડલાઇન હેઠળ ફંડનું રોકાણ કરે છે. આનો અર્થ એ છે કે, રોકાણ ખૂબ જ સુરક્ષિત સ્ત્રોતમાં કરવામાં આવે છે, જ્યાં જોખમ અત્યંત ઓછું હોય છે અને રિટર્ન સ્થિર હોય છે.

સરકાર PF ના રૂપિયા ક્યાં રોકાણ કરે છે?

તમારા પીએફનો સૌથી મોટો હિસ્સો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવામાં આવે છે, જેને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સરકારી બોન્ડ્સ, સરકારી સિક્યોરિટીઝ અને સરકાર દ્વારા ગેરંટીવાળા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનોમાં નુકસાનની સંભાવના લગભગ ઝીરો હોય છે. આથી EPFO ​​અહીં નોંધપાત્ર રકમનું રોકાણ કરે છે.

31 માર્ચ, 2024 સુધીમાં, EPFO ​​પાસે કુલ ₹24.75 લાખ કરોડનું ફંડ હતું, જેમાંથી આશરે ₹22.41 લાખ કરોડ ફક્ત ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જ રોકાણ કરવામાં આવ્યા હતા.

આનો અર્થ એ છે કે, તમારા PFના રૂપિયાનો લગભગ 90% ભાગ સુરક્ષિત સરકારી સાધનોમાં જ જાય છે, જેથી તમારા રૂપિયા સુરક્ષિત રહે અને તે પર તમને સ્થિર વ્યાજ પણ મળે.

શું PF ના રૂપિયા પણ શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે?

હા, ઇપીએફઓ ખૂબ જ મર્યાદિત માત્રામાં શેરબજારમાં રોકાણ કરે છે. EPFO ફક્ત ઇટીએફ અથવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ કરે છે. EPFO નું રોકાણ મુખ્યત્વે ઇન્ડેક્સ-આધારિત ઇટીએફ (જેમ કે નિફ્ટી 50 ઇટીએફ, સેન્સેક્સ ઇટીએફ, ભારત 22 ઇટીએફ અને સીપીએસઇ ઇટીએફ) માં જાય છે.

આનો અર્થ એ છે કે, EPFO કોઈપણ એક કંપની પર દાવ લગાવતી નથી, જે જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને લાંબાગાળે સ્થિર તેમજ સારા રિટર્નની સંભાવના વધારે છે.

ETF માં ક્યારે અને કેટલું રોકાણ કરવામાં આવ્યું?

સરકારી માહિતી અનુસાર, EPFO ​​એ ઓગસ્ટ 2015 માં ETF માં રોકાણ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ દર વર્ષે રોકાણ વધતું ગયું:

  • 2017-18: ₹22,765.99 કરોડ
  • 2018-19: ₹27,974.25 કરોડ
  • 2019-20: ₹31,501.11 કરોડ
  • 2020-21: ₹32,070.84 કરોડ
  • 2021-22: ₹43,568.08 કરોડ
  • 2022-23: ₹53,081.26 કરોડ
  • 2023-24: ₹57,184.24 કરોડ
  • 2024-25 (ઓક્ટોબર સુધી): ₹34,207.93 કરોડ

આનાથી સ્પષ્ટ થાય છે કે, પીએફના રૂપિયા એવા ફંડમાં રોકાણ કરવામાં આવે છે, જે લાંબાગાળે સુરક્ષિત અને સ્થિર રિટર્ન આપે છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Published On - 8:37 pm, Sat, 6 December 25