પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં હાઇ પ્રોફાઇલ બેઠક નંદીગ્રામમાં પણ મતદાન યોજાયું હતું. આ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો Mamata Banerjee અને ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા સુવેન્દુ અધિકારી વચ્ચે જંગ ખેલાયો હતો. આ બેઠક પર ભાજપ સતત પોતાની જીતનો દાવો કરી રહ્યો છે, સાથે એમ પણ કહે છે કે મમતા પણ બીજી બેઠક પરથી ચૂંટણી લડશે.
જેના પગલે આજે ટીએમસીના ઉપપ્રમુખ યશવંત સિંહા દ્વારા ભાજપના દાવાને નકારી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે, ભાજપ બીજી વિધાનસભા બેઠક પરથી મમતા બેનર્જીની ચૂંટણી લડવાની અફવાઓ ફેલાવી રહ્યું છે. જેપી નડ્ડાએ ગઈકાલે આ બાબતનું ખોટી રીતે પુનરાવર્તન કર્યું હતું. અમે ભાજપની દરેક રમતોનો જવાબ આપવા તૈયાર છીએ. અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે રસ્તામાં ઈવીએમ બદલાશે નહીં.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ૧ એપ્રિલના રોજ બીજા તબક્કામાં નંદીગ્રામમાં મતદાન ચાલી રહ્યું હતું, તે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં એક સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે બંગાળમાં ભાજપનો વિજય નિશ્ચિત છે અને નંદિગ્રામે તેની શરૂઆત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે સાંભળવામાં આવી રહ્યું છે કે મમતા દીદી બીજી બેઠક પરથી પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
તે જ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કહ્યું છે કે Mamata Banerjee નિશ્ચિતપણે નંદીગ્રામથી ચૂંટણી હારી રહ્યા છે અને તેથી ચૂંટણી લડવા માટે બીજી બેઠક માંગે છે. જેપી નડ્ડાએ કહ્યું, આ તેમની રણનીતિ છે અને તેઓ આ વિશે વધુ સારી રીતે જાણે છે. અમને ખબર છે કે તે બીજી બેઠકની શોધ કરી રહ્યાં છે. તેમના પોતાના લોકોએ જ મને આ માહિતી આપી છે. તેમજ Mamata Banerjee ચોક્કસપણે નંદીગ્રામ બેઠક ગુમાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં ૧ એપ્રિલના રોજ યોજાયેલા બીજા તબક્કામાં કુલ
80.43 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પરથી સીએમ મમતા બેનર્જી ચુંટણી લડયા છે. જેના પગલે મતદાનના દિવસે સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા હતા અને રાજ્યપાલ જગદીપ ધનખડને લોકોને મતદાનથી વંચિત રખાતા હોવાની ફરિયાદ કરી હતી. જો કે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ સીએમ મમતા બેનર્જીનું નંદીગ્રામ બેઠક પરથી ભાવી ઈવીએમમાં સીલ થયું છે.
Published On - 2:32 pm, Sat, 3 April 21