સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીરસિંહની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની અરજી પર કહ્યું છે કે “તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા”. જો કે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે લગાવેલા આક્ષેપો ગંભીર છે. પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને સીબીઆઈ દ્વારા તપાસની માંગ કરી હતી. આ સિવાય તેમણે પોતાના ટ્રાન્સફરને પડકાર પણ આપ્યો છે.
પરમબીરસિંહની અરજી અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આક્ષેપો ઘણા ગંભીર છે, પરંતુ તમારે પહેલા હાઇકોર્ટમાં જવું જોઈએ. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ મામલે અનિલ દેશમુખને પક્ષકાર કેમ નથી બનાવ્યા. હવે ટૂંક સમયમાં બોમ્બે હાઈકોર્ટમાં પરમબીરસિંહ દ્રારા અરજી દાખલ થઇ શકે છે. ભલે સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહની અરજી સાંભળવાની ના પાડી દીધી હોય, પરંતુ તેમ છતાં આ આક્ષેપોને ગંભીર ગણાવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી શકે છે. જો હાઈકોર્ટનો ચુકાદો પરમબીરસિંહના પક્ષમાં આવે છે તો આ મહારાષ્ટ્ર સરકાર માટે મોટો ઝટકો હશે.
કોર્ટે કહ્યું અનિલ દેશમુખ પરના આરોપો ખૂબ જ ગંભીર છે
પરમબીરસિંહની અરજી પર વિચારણા કરતી વખતે કોર્ટે કહ્યું કે અનિલ દેશમુખ ઉપરના આરોપો ‘ખૂબ ગંભીર’ છે. આ સિવાય આ વર્તન દેશમાં પોલીસ સુધારણાને નિરુત્સાહ કરવાવાળું વર્તન કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે પોલીસ સુધારા અંગે આપવામાં આવેલા ચૂકાદાઓનો અમલ થયો નથી. આ મુદ્દો ત્યારે જ ઉભો થાય છે જ્યારે કોઈ રાજકીય પરિસ્થિતિ વણસે છે. તમને જણાવી દઈએ કે 25 ફેબ્રુઆરીની સાંજે મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી આવી હતી અને તેમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. જે બાદ વિવાદ સર્જાયો હતો. આ પછી કાર સાથે સંકળાયેલ વ્યક્તિ મનસુખ હિરેનની હત્યાની ઘટના સામે આવી. કેસમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ. પરમબીરસિંહના લેટર બોમ્બ અને સુપ્રીમમાં કરેલી અરજીએ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી દીધી હતી.
પરમબીરસિંહ દ્વારા 100 કરોડની વસૂલાતનો આરોપ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા સચિન વાઝેને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ સરકાર દ્વારા પરમબીરસિંહને મુંબઈ પોલીસ કમિશનર પદેથી ડીજી હોમગાર્ડઝમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બદલી બાદ પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે વાઝેને 100 કરોડની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો.
આ પણ વાંચો: કૌંભાડના સપડાયેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં સાફસફાઈ, 80થી વધુ અધિકારીઓને કરાયા તિતર બિતર