દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે તો બીજી બાજુ કોરોના વિરૂદ્ધની લડાઈમાં રસીકરણ અભિયાન પણ શરૂ છે. પણ આ રસીકરણ અભિયાનની ધીમી ગતિને લઈને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે (MANMOHAN SINGH) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પૂર્વ વડાપ્રધાન MANMOHAN SINGHએ પત્રમાં લખ્યું કે કરોના સામેની લડાઈમાં રસીકરણ વધારવું મુખ્ય રસ્તો છે. આ પત્રમાં તેમણે કેન્દ્ર સરકાર માટે 5 સૂચનો કર્યા છે.
આંકડાને બદલે ટકાવારી પર ધ્યાન આપવું જરૂરી
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે (MANMOHAN SINGH) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ને કોરોના મહામારીના કારણે કથળતી સ્થિતિ વિશે પત્ર લખ્યો છે. પત્રમાં મનમોહનસિંહે કહ્યું છે કે કોરોના સામે લડવાનું મુખ્ય માધ્યમ દેશમાં રસીકરણ (vaccination) વધારવું એ છે. તેમણે કહ્યું કે આપણે દેશની વસ્તી અનુસાર રસીકરણની ટકાવારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, રસીકરણની સંખ્યા પર નહીં. હાલમાં ભારતે તેની વસ્તીના થોડા ટકા વસ્તીનું જ રસીકરણ કર્યું છે. મને ખાતરી છે કે યોગ્ય યોજનાથી આપણે વધુ સારી રીતે અને ખૂબ જ ઝડપથી રસીકરણ કરી શકીશું.
સરકારે આગામી 6 મહિનાની વિગતો જાહેર કરવી જોઈએ
MANMOHAN SINGHએ કહ્યું કે સૌ પ્રથમ, સરકારે આગામી છ મહિના માટે રસીના કેટલા ઓર્ડર આપ્યા છે, રાજ્યોમાં કેવી રીતે રસીનું વિતરણ કરવામાં આવશે તે વિશે જણાવવું જોઈએ. તેમણે કહ્યું કે, સરકારે કહેવું જોઈએ કે જુદા જુદા રસી ઉત્પાદકોને કેટલા ઓર્ડર આપવામાં આવ્યા છે જેમણે આગામી છ મહિનામાં ડિલિવરી આપવાનું વચન આપ્યું છે. જો આપણે લક્ષિત સંખ્યામાં રસી આપવાની ઇચ્છા રાખતા હોઈએ તો આપણે અગાઉથી પૂરતા ઓર્ડર આપવા જોઈએ જેથી ઉત્પાદકો સમયસર રસી પહોંચાડી શકે.
રસીનો 10 ટકા જથ્થો ઈમરજન્સી માટે રાખો
મનમોહનસિંહે કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે પારદર્શિ સૂત્રના આધારે રાજ્યોમાં આ સંભવિત રસી કેવી રીતે વહેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર ઈમરજન્સી માટે રસીનો 10 ટકા જથ્થો રાખી શકે છે, પરંતુ બાકીના જથ્થા અંગે રાજ્યોને સ્પષ્ટ સંકેત મળવો જોઈએ જેથી તેઓ રસીકરણની યોજના બનાવી શકે.
45 થી ઓછી ઉમરના ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસી આપવી જોઈએ
MANMOHAN SINGHએ કહ્યું કે રાજ્યોને ફ્રન્ટલાઈન વર્કર્સની કેટેગરી નક્કી કરવામાં છૂટ આપવામાં આવે જેથી તેઓ 45 થી ઓછી ઉમરના ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસી આપી શકે. ઉદાહરણ તરીકે રાજ્યો શાળાના શિક્ષકો, બસ-થ્રી વ્હીલર્સ-ટેક્સી ડ્રાઇવરો, મ્યુનિસિપલ અને પંચાયત કર્મચારીઓ અને વકીલોને રસી આપવાનું ઇચ્છે છે. 45 વર્ષથી ઓછી ઉંમર હોવા છતાં પણ તેમનું રસીકરણ કરી શકાય છે.
વેક્સીન ઉત્પાદકોને મદદ કરવી જોઈએ
મનમોહનસિંહે કહ્યું કેછેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત સૌથી વધુ રસી ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ઉમેર્યું, “મોટાભાગની ક્ષમતા ખાનગી ક્ષેત્રની છે. જાહેર આરોગ્ય માટે હાલની કટોકટીની સ્થિતિમાં, ભારત સરકારે રસી ઉત્પાદકોને મદદ કરવી જોઈએ, જેથી તેઓ ઝડપથી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે. ”તેમણે કંપનીઓને ભંડોળ અને છૂટના લાભ આપવાની સલાહ આપી.
વિદેશી વેક્સીનને આયાત અને ટ્રાયલ વગર જ મંજુરી
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એમ પણ કહ્યું હતું કે રસીના સ્થાનિક સપ્લાય કરનારાઓ મર્યાદિત છે, તેથી યુરોપિયન મેડિકલ એજન્સી અથવા USFDA દ્વારા માન્ય કરાયેલી કોઈપણ રસીને દેશમાં આયાત માટે મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે તેઓને દેશમાં ટ્રાયલ વિના મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે કટોકટીના કિસ્સામાં આ છૂટ વાજબી છે.