પશ્ચિમ બંગાળમાં એક ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવી અને વિવાદ ઉભો થયાના બે દિવસ પછી, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે તેમણે ખરેખર પ્રલય પાલને ફોન કર્યો હતો કારણ કે તેમને એવી માહિતી મળી હતી કે તેઓ તેમની સાથે વાત કરવા માગે છે. એવું કહેવામાં આવે છે કે આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામના કથિત ભાજપના નેતાને આ બેઠક પરથી તેમણે જીતવા માટે મદદ કરવા સમજાવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર પૂરા થવાના થોડા સમય પહેલા નંદિગ્રામના ટેંગુઆમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે ઉમેદવાર તરીકે તેમને મતદાર પાસે પહોંચવાનો તમામ અધિકાર છે. તૃણમૂલ કોંગ્રેસના વડા બેનર્જીએ કહ્યું, ‘હા મેં ભાજપના આ નેતાને નંદિગ્રામમાં બોલાવ્યા હતા. મને જાણ કરવામાં આવી હતી કે કોઈ મારી સાથે વાત કરવા માંગે છે. તેથી મેં તેનો નંબર મેળવ્યો અને તેની સાથે વાત કરી. મેં તેને કહ્યું કે પોતાનું ધ્યાન રાખો, અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. એમાં મારો ગુનો શું છે? ‘
‘કોઈપણ મતદારની મદદ માગી શકું છું’
બેનર્જીએ કહ્યું, “મત વિસ્તારના ઉમેદવાર તરીકે હું કોઈપણ મતદાતાની મદદ માંગી શકું છું, હું કોઈને પણ ફોન કરી શકું છું. તેમાં કંઈ ખોટું નથી, તે ગુનો નથી. જો કોઈ વાતચીતને વાયરલ કરે તો તે ગુનો છે. જેણે મારી વાતચીતને વાયરલ કરી છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. મારા સામે નહીં.”
‘વાતચીતને વાયરલ કરવાથી વિશ્વાસ તૂટે છે’
મમતાએ આ ઘટના અંગે તેમણે ભૂતકાળમાં લોકોની મદદ માટે કરેલા ઘણા વિપક્ષના લોકોના ફોનનો હવાલો આપતા કહ્યું કે ફોન કરવું ખોટું નથી પરંતુ તે જ્યારે વાયરલ થાય છે. ત્યારે વિશ્વાસ તૂટી જાય છે.
‘મતદાનના પ્રથમ તબક્કાની વચ્ચે ઓડિયો વાયરલ થયો હતો’
ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 30 બેઠકો માટે મતદાનની વચ્ચે એક ઓડિયો ક્લિપ બહાર પાડી હતી. તેમાં, બેનર્જીએ કથિત રૂપે નંદીગ્રામના ભાજપના નેતાને ફરીથી તૃણમૂલમાં જોડાવા અને તેમને જીતવામાં મદદ કરવા મનાવતા સાંભળવા મળતા હતા. આ ઓડિયો ક્લિપથી રાજ્યમાં એક નવો વિવાદ સર્જાયો હતો. ક્લિપમાં બેનર્જી પાલને કહી રહ્યા હતા કે તમારે નંદિગ્રામમાં જીતવા માટે અમને મદદ કરવી જોઈએ. જુઓ, હું જાણું છું કે તમને કેટલીક ફરિયાદો છે, પરંતુ આમાંની મોટાભાગની ફરિયાદો અધિકારી ફેમિલીને કારણે છે, જેણે મને ક્યારેય નંદીગ્રામ ન આવવા દીધી. હું હવેથી દરેક વાતનું ધ્યાન રાખીશ. સુવેન્દુ અધિકારી પરિવારનો જિલ્લામાં નોંધપાત્ર પ્રભાવ છે.
પાલે કહ્યું- હું સુવેન્દુને છેતરી ના શકું
ઓડિયો ક્લિપમાં પાલ કથિતરૂપે કહી રહ્યા છે કે દીદી, “તમે મને ફોન કર્યો, મારા માટે સન્માનની વાત છે. પરંતુ હું અધિકારી પરિવારને છેતરી શકતો નથી, કેમ કે તેઓએ દરેક મુશ્કેલ સમયે મને ટેકો આપ્યો છે.” બાદમાં તેમણે ટીવી ન્યૂઝ ચેનલોને કહ્યું કે બેનર્જીએ તેમને ફોન કર્યો હતો અને તેમને ટીએમસીમાં પાછા ફરવાની વિનંતી કરી હતી, પરંતુ તેમણે આ ઓફર નકારી દીધી હતી. પાલે કહ્યું કે હવે હું ભાજપ માટે કામ કરું છું અને તેમની સાથે દગો ના કરી શકું.
ભાજપે કલીપ ટેપ ચૂંટણી પંચને સોંપી હતી
ભાજપના મહાસચિવ અને પાર્ટી મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાના નેતૃત્વમાં ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યું અને ઓડિયો ટેપ તેમણે સોંપી હતી. તેમણે દાવો કર્યો હતો કે બેનર્જી વિધાનસભાની ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરવા માટે તેમની સત્તાવાર હોદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે. શાસક ટીએમસીએ શરૂઆતમાં ઓડિયો ટેપ્સની અસલિયત પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ પાછળથી ભારપૂર્વક જણાવ્યું હતું કે પાલ ભાજપમાં જોડાનારા ભૂતપૂર્વ ટીએમસી નેતા છે, તેથી બેનર્જીએ તેમને પાછા લાવવાના પ્રયાસ કર્યો. અને તેમાં કંઈપણ ખોટું નહોતું. બીજા તબક્કામાં પહેલી એપ્રિલે હાઇ પ્રોફાઇલ નંદીગ્રામ બેઠક માટે મતદાન યોજાશે.