કોગ્રેસ હવે હાર્દિક પટેલને ઇલેક્શન દરમિયાન પ્રચારની મોટી જવાબદારી આપવા જઇ રહી છે, ત્યારે સુત્રો કહી રહ્યા છે કે હવે હાર્દીક પટેલ લોકસભા ઇલેક્શન લડે તેવી સંભાવના ધુંધળી થતી જાય છે, તો પછી હાર્દીક શુ કરશે? ત્યારે સુત્રો હવે સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે ઉંઝા વિધાનસભાની પેટા ચુટણીમાં તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી શકે છે અને એટલે જ હાર્દિક પટેલે હવે તેના ઉપર લાગેલા મહેસાણાના કેસનો ઉકેલ આવે અને તેને મહેસાણાની પ્રવેશબંધીમાંથી મુક્તિ મળે તેવા કાયદાકીય પ્રયાસો તેજ કર્યા છે.
જામનગરથી લોકસભા ઇલેક્શન લડવાની જાહેરાત કરીને હાર્દિકે કોગ્રેસના હાથને વિધિવત રીતે પકડ્યો પણ હવે તે કહી રહ્યાં છે કે તે કોંગ્રેસનો સૈનિક છે પાર્ટી જ્યાં કહેશે ત્યાંથી તે ઇલેક્શન લડશે એટલે કે તેના વલણમાં હવે બદલાવ આવ્યો છે. સુત્રોની માનીએતો જામનગરમાં ભાજપે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને અને એક ધારાસભ્યને પ્રધાન પદ આપીને જાતિગત સમીકરણો એવા સેટ કર્યા કે કોંગ્રેસ અને હાર્દિકની રાજનીતિક જમીન ખસકી ગઇ છે. જેથી હવે હાર્દિક જાતે જામનગરની જાહેરાત કરીને ભરાયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે માત્ર ખેડુતોના દેવા માફીના મુદ્દે હવે નહી જીતાય. જીત માટે તો હવે રાજનીતિક સુઝ અને જ્ઞાતિગત સમીકરણોના ગઠંબધન પણ જરુરી છે જે કોંગ્રેસ પાસે જામનગરમાં રહ્યાં નથી.
જ્યારથી હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડવા માટે જાહેરાત કરી ત્યારથી ભાજપે પોતાના તમામ સંસાધનોને હાર્દિકને હરાવવા લગાવી દીધા છે. જામનગરની વાત કરીએ તો થાડાં સમય પહેલા જ ખેડુતોની વિવિધ સમસ્યા અને ખેડુતોના દેવા માફી અંગે મોટી સભા કરાઇ હતી જેમાં સ્થાનિક કોગ્રેસી આગેવાનોની હાજરી પણ હતી. ભાજપના જાતિગત સમીકરણ જોઇએ તો તેના સાસંદ પુનમ માડમ છે તે પોતે આહીર સમાજમાંથી આવે છે. તે સિવાય 2017 પહેલા કોંગ્રેસના પંજામાંથી હાથ છોડાવીને બીજેપી તરફે આવેલા ધર્મેન્દ્ર સિંહ જાડેજાને ભાજપે હવે પ્રધાન બનાવી દીધા છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભ ભાઇ ધારવિયાનું પણ રાજીનામુ અપાવી ભાજપ પોતાની સાથે લઇને આવી છે. પાટીદાર નેતા તરીકે રાધવજી પટેલ અને રિવાબાને ભાજપમાં જોડી દેવાયા છે એટલે કે આહીર પાટીદાર દરબાર અને સથવારા કોમ્યુનીટીને ભાજપે પોતાની સાથે લઇ લીધી છે જેથી હાર્દિક કદાચ અહીંથી લોકસભા ચૂંટણી લડે તો પણ તેની જીતવાની સંભાવના નહીવત રહે.
હાર્દિક પટેલ કોઇ પણ ભોગે ચૂંટણી લડશે તેના માટે તે તમામ પ્રયાસ પણ કરશે પણ તેની સામે જે રીતે ભગવાન બારડનું ઉદાહરણ છે તેનાથી હાર્દિક ચિંતિત છે. તેના ઉપર જે રીતે મહેસાણા કોર્ટે કરેલી સજા છે સાથે મહેસાણામાં પ્રવેશ બંધી છે તેને લઇને તેના ચૂંટણી લડવા સામે જ સવાલો ઉભા છે. જેથી તે હાઇકોર્ટના માધ્યમથી આ સજામાં બાઇજ્જત બરી થવા મથામણ કરી રહ્યો છે પણ જે રીતે તેને તારીખ પે તારીખ મળી રહી છે. તારીખોથી તેના અરમાનો ઉપર પાણી ફરી વળે તેવી સંભાવના વર્તાઇ રહી છે. જો કોર્ટ તરફથી રાહત નહીં મળે તો તેને કોંગ્રેસ પ્રચારની જવાબદારી તો આપી જ શકે છે તેવામાં હાર્દીકના ચૂંટણી લડવાના અરમાનો ઉપર પાણી ફરી વળી શકે છે.
કોંગ્રેસના સુત્રો કહી રહ્યા છે કે અત્યારે તો પાર્ટી હાર્દિકનો ઉપયોગ પ્રચાર માટે કરશે. તેને સ્થાનિક કક્ષાએ સંગઠનમાં હોદ્દો પણ આપી શકે છે. જ્યાર સુધી હાઇકોર્ટ તેને નિર્દોષ નહી જાહેર કરે ત્યાર સુધી તેને કોઇ પણ ચૂંટણી તે પછી લોકસભા હોય કે વિધાનસભા હાલ પુરતી નહી લડાવવામાં આવે. જે રીતે ભાજપના હાર્દિકની કિલ્લેબંધી કરી છે તેનાથી તેને કોઇ પણ સીટ ઉપરથી જીતવાના ચાન્સ ઘણાં ઓછા છે. જો હાર્દિક ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી લડે તો કોંગ્રેસને ફાયદો થઇ શકે છે ત્યાં હાલ ભાજપના નારણ લલ્લુ પટેલ પક્ષની અવગણનાથી નારાજ છે. તો બીજી તરફ ભાજપ આશાબેન પટેલને ટીકીટ આપે તો સ્થાનિક પાટાદીરો આશા બેનને હરાવવાના મુડમાં છે. આશા બેન પેટલને કોંગ્રેસે 2012માં પણ ટીકીટ આપી હતી પણ ત્યારે તે હારી ગયા હતા. 2017માં હાર્દિકની ટીમના પ્રચાર અને પાટીદાર અનામત આદોલનના જોરમાં અશાબેન પટેલ જીતી ગયા હતા. હવે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જતા રહ્યા જેથી પાટીદારોની નારાજગીનો લાભ પેટા ચૂંટણીમાં હાર્દિકને અહીંથી મળી શકે છે. જો હાર્દિક અહીથી ચૂંટણી લડે તો ભાજપને તેની રણનીતિમાં માત આપી શકાય એમ છે. હાલ આ મુદ્દે કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે અને હાર્દિક સુધી પણ આ વાત પહોંચાડાઇ રહી છે. વિચાર વિમર્શ કર્યા બાદ કોઇ નિર્ણય લેવાઇ પણ શકે છે, જો ચુટણી લડે અને જીતે તો તેને વિધાનસભામાં કોઇ જવાબદારી પણ આપી શકાય છે.
જ્યારે હાર્દિક પટેલે અનામત આદોલનની શરુઆત કરી હતી ત્યારે રાજ્યના પુર્વ મુખ્ય પ્રધાન અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતા કેશુભાઇ પટેલના આશિર્વાદ લેવા પહોચ્યા હતા અને કેશુભાઇએ ત્યારે હાર્દિક સાથે મુલાકાત કરી હતી. હાર્દિક સમાજને એક કરી રહ્યો છે તેવી વાત કરીને કેશુભાઈએ આશિર્વાદ પણ આપ્યા હતા. હવે જ્યારે હાર્દિક કોંગ્રેસમાં સામેલ થયો તે પહેલાં તેણે કેશુભાઇ પેટલના આશિર્વાદ લેવાનો પણ પ્રયત્ન કર્યો પણ કેશુભાઇ તરફથી તેને મળવાની અનિચ્છા દર્શાવવામાં આવી હતી. વાત સ્પષ્ટ હતી કેશુભાઇના આશીર્વાદ હાર્દિકને નથી તે વાત પ્રસ્થાપિત કરાઇ સાથે એસપીજી પ્રમુખ લાલજી પટેલે પણ હાર્દિકનો ખુલીને વિરોધ કર્યો છે. જેથી હવે પાટીદારો જ હાર્દિક સાથે નથી તેવું સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે મંચ ઉપર માત્ર રાહુલ ગાંધી હતા પણ હાર્દિક પટેલ સામેલ થયાં ત્યારે સોનિયા ગાંધીથી લઇને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે તમામ કોંગ્રેસની નેતાગીરી એક મંચ ઉપર દેખાઇ. કોંગ્રેસના સિનિયર નેતાઓ માને છે કે અલ્પેશ ઠાકોરએ તેના ઠાકોર સમાજમાં સારુ વર્ચસ્વ ધરાવે છે જેથી તેને પાર્ટી અને ચૂંટણીઓની વિવિધ સમિતિઓમાં સ્થાન પણ અપાયુ છે. છતાં જે રીતે તેણે પાર્ટી હાઇ-કમાન્ડ સામે વારંવાર નારાજગી દર્શાવી અને દબાણ લાવવા પ્રયાસ કર્યો, સીધી રીતે કહીએ તો બ્લેકમેલિંગ કરાયું. હવે હાર્દિક પટેલના આવવાથી અલ્પેશને માપમાં રાખવામાં મદદ થશે. પાર્ટી લોકસભામાં ટિકિટ આપે અથવા પેટા ચૂંટણી લડાવીને જીતાડે તો વિધાનસભામાં પાર્ટી તરફથી જવાબદારી પણ આપી શકે છે, જેથી બન્ને યુવા નેતાઓને બેલેન્સ રાખી શકાય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:43 pm, Wed, 13 March 19