Ahmed Patel: કોંગેસને નવેમ્બર 2020 માં ખુબ મોટી ખોટ પડી છે. પડદા પાછળના ખરા કલાકાર તરીકે ખ્યાતનામ નેતા અહેમદ પટેલે આ દુનિયામાંથી વિદાય લીધી. અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો કોઈ વિકલ્પ ન હતો. સમગ્ર કારકિર્દી દરમિયાન ક્યારેય મંત્રીપદે ના રહેવા છતાં યુપીએ સરકારમાં જેનો ડંકો વાગતો હતો એ મજબુત નેતાની છાપ હતી અહેમદ પટેલની. કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવામાં તેમની મોટી ભૂમિકા રહી.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020 ના રોજ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. 71 વર્ષીય અહેમદ પટેલ, રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસમાં સક્રીય હતા. તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકારતરીકે પણ કામ કર્યુ હતુ તો કોંગ્રેસના રાષ્ટ્રીયસ્તરે અનેક પદ ઉપર કામ કરી ચૂક્યા હતા. અહેમદ પટેલ તે સમયે ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 25 નવેમ્બરે સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે સમયે તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય પણ હતા.
આ કોંગ્રેસના કદાવર નેતાએ મધ્ય દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં તેમના નિવાસ સ્થાન 23, મધર ટેરેસા ક્રેસન્ટ હોમમાં જીવનના 28 વર્ષ વિતાવ્યા. છેવટે આ ઘર હવે ખાલી કરવામાં આવ્યું છે. નેતાની દીકરી મુમતાઝ પટેલે આ ક્ષણોની તસ્વીર શેર કરી છે. અને સાથે કેપ્શન લખ્યું છે કે 23 મધર ટેરેસા ક્રેસન્ટમાં એક છેલ્લી વાર! મારા પિતા અહેમદ પટેલનું 28 વર્ષથી ઘર.. સારા અને ખરાબ, ઉતાર – ચઢાવ… પણ આતો જીવન છે… તે આગળ વધતું જ જાય! અલવિદા.
One last time at 23 Mother Teresa Crescent ! My fathers @ahmedpatel Home for 28 years …. Through good and bad , ups and down… such is life …it goes on ! ALVIDA ! pic.twitter.com/Z1NEo9rY1t
— Mumtaz Patel (@mumtazpatels) September 5, 2021
આ ઉપરાંત ઘર અને રસ્તાનો એક વિડીયો Ahmed Patel Memorial ને ટ્વીટર એકાઉન્ટથી મુકવામાં આવ્યો છે. તેમાં સમગ્ર ઘરની ઝલક જોવા મળે છે. અહેમદ પટેલના અનુયાયીઓ અને તેમને રાજનૈતિક ગુરુ માનતા લોકો આજે પણ તેમને ખુબ યાદ કરે છે.
23 Mother Teresa Crescent ! #yaadein @mumtazpatels @mfaisalpatel pic.twitter.com/sohOBCjiPg
— Ahmed Patel Memorial (@ahmedpatel) September 6, 2021
તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીના નિવાસ સ્થાનની જેમ જ અહેમદ પટેલનું નિવાસ સ્થાન પણ પાવર સેન્ટર ગણાતું હતું. ઘરની ખાસિયત હતી કે વિવિધ રસ્તાથી તેમાં પ્રવેશ થઇ શકતો હતો. આ ઘરમાં વર્ષો સુધી ખુબ મોટા મોટા નિર્ણયો લેવાયા છે. આ ઘરમાં જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પદાધિકારીઓનો ફેંસલો થતો અને ઘણા સવાલોનું સમાધાન આવતું. એક સમય હતો જ્યારે યુપીએ સરકાર વખતે આ ઘરના વેઇટિંગ રૂમમાં મોટા નેતાઓથી લઈને ઉદ્યોગપતિ લાઈન લગાવતા હતા.
21 ઓગસ્ટે 1949 માં ભરૂચના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે યુવાવસ્થામાં યૂથ કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેમની રાજનૈતિક કારકિર્દીનો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 1977માં ઇન્દિરા ગાંધીએ છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને ભરૂચની ટિકિટ આપી. ભરૂચની ટિકિટ મળી તે સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષની જ હતી. તેઓ બે વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પણ ખરા. આ નાની સફરથી લઈને તેઓએ છેલ્લે ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યની ફરજ પણ નિભાવી.
આ પણ વાંચો: Gujarat : આગામી 3 દિવસ હળવાથી ભારેથી વરસાદની આગાહી, 7 સપ્ટેમ્બરથી સાર્વત્રિક વરસાદની આગાહી