
આ સ્થાનનું પૌરાણિક મહત્વ અત્યંત ઊંડું છે, કારણ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુ તથા સ્વર્ગના દેવતાઓ સાથે જોડાયેલો માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.

અહીં આવેલા ગરમ પાણીના કુંડ લોકોના ત્વચાસંબંધિત રોગો માટે ઉપચારરૂપ માનવામાં આવે છે. તુલસીશ્યામ મંદિર પર્વત પર વસેલું હોવાથી અહીંથી મનમોહક નઝારા જોવા મળે છે.

તુલસીશ્યામ મંદિર લગભગ 3 હજાર વર્ષ જૂનું ગણાય છે અને એવું માનવામાં આવે છે કે અહીં સ્થાપિત મૂર્તિઓ દ્વાપર યુગથી છે.મંદિર ત્રિભુજ આકારમાં બનેલું છે અને તેની શિલ્પકળા પણ અનોખી છે.

તુલસીશ્યામ ખાતે આવેલા ગરમ પાણીના કુંડમાં કોઇપણ ઋતુઓમાં પાણી ગરમ રહે છે. પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં તેને "તપ્તોદક" તરીકે ઓળખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથીત્વચા સંબંધિત રોગોમાં રાહત મળે છે.

તુલસીશ્યામ નજીક પર્વતીય વિસ્તારમાં આવું એક અનોખું સ્થળ આવેલું છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી. સરળ ભાષામાં કહીએ તો, આ સ્થળે જો તમે વાહન બંધ અવસ્થામાં રોકો તો તે ઊતરતી ઢળાણ હોવા છતાં પાછળ નહીં સરકે, પણ આશ્ચર્યજનક રીતે ઊલટી દિશામાં ચાલે છે. આ અદભૂત પ્રાકૃતિક વિસંગતતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઘણા લોકો અહીં આવીને આ પરિબળનો અનુભવ લેવા માટે ઉત્સુક હોય છે. આવા દૃશ્યો લોકોમાં રોમાંચ અને વિજ્ઞાન પ્રત્યેના જિજ્ઞાસા બંનેને જન્મ આપે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Published On - 7:42 pm, Wed, 2 July 25