
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાનાઉદ્દેશ્યથી‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.આ વખતે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025 થી 17 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.

જો ચામાસામાં ક્યાંય ફરવાની વાત આવે તો લોકો સૌથી પહેલા સાપુતારાનું નામ લે છે. તેમાં પણ ખાસ કરીને લોકો સાપુતારામાં થતાં મોન્સૂન ફેસ્ટિવલની આતુરતાથી રાહ જોતા હોય છે.

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ શરુ થતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફેસ્ટિવલની તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે. આ સાથે પ્રવાસીઓ પણ પોતાના વીકએન્ડ લીસ્ટમાં સાપુતારાનું નામ એડ કરી રહ્યા છે.દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણતા હોય છે.

સાપુતારા તળાવ, બોટ હાઉસ ગ્રાઉન્ડની આસપાસ આવેલું છે, પ્રવાસીઓને સ્થાનિક લોક પ્રદર્શનના તાલ પર નૃત્ય જોવા મળશે, આ સાથે સ્વાદિષ્ટ પ્રાદેશિક ભોજનનો આનંદ માણી શકો છો, ટુંકમાં તમે ગુજરાતના સમૃદ્ધ વારસાને સંપૂર્ણ જોઈ શકશો.

જો આપણે મુખ્ય આકર્ષણની વાત કરીએ તો, સાંસ્કૃતિક કાર્યક્રમથી શરુ થશે. રેન રન મેરેથોન,આર્ટ ગેલેરીડોમ ખાતે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ (દર શુક્રવાર, શનિવાર-રવિવાર અને જાહેર રજાઓ)માં જોવા મળશે.સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવશે.

સાપુતારાની આસપાસના મનોહર આકર્ષણોનું અન્વેષણ કરો, જેમાં મનોહર ડોન હિલ સ્ટેશન, ગીરા ધોધ, ગિરમાલ ધોધ, વાઘાઈ બોટનિકલ ગાર્ડન અને અન્ય મનોહર સ્થળોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ 2009થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે જેથી જીવન સ્તરમાં સુધારો થયો છે.

તો તમે પણ પરિવાર, મિત્રો સાથે સાપુતારા ફરવા જવાનો પ્લાન બનાવી લો.,સાપુતારા અમદાવાદથી 420 કિ.મી., ભાવનગરથી 589 કિ.મી., રાજકોટથી 603 કિ.મી., સુરતથી 172 કિ.મી., વઘઇથી 49 કિ.મી., બીલીમોરાથી 110 કિ.મી., નાસિકથી 80 કિ.મી., મુંબઇથી 185 કિ.મી.ના અંતરે આવેલું છે.
Published On - 3:02 pm, Sun, 22 June 25