
બજારમાં ₹ 50થી 200ની કિંમતના ગોગલ્સ મોટાપ્રમાણમાં વેચવામાં આવે છે. લોકો ફેશન, સ્ટાઇલ અને સૂર્યના કિરણથી બચવા માટે તેને ખરીદે છે.

સસ્તા ગોગલ્સ ફક્ત પ્રકાશ ઘટાડે છે પરંતુ ખતરનાક UV કિરણોને રોકી શકતા નથી. આ જ કારણ છે કે આંખના ડોકટરો હંમેશા UV 400 સુરક્ષાવાળા ગોગલ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિ ડાર્ક કલરના ગોગલ્સ પહેરે છે ત્યારે આંખોને લાગે છે કે આસપાસ પ્રકાશ ઓછો છે. તેથી આંખોની પ્યુપિલ્સ વધુ ખુલ્લી જાય છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં માયડ્રિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ચશ્મામાં યોગ્ય UV ફિલ્ટરનો અભાવ હોય ત્યારે અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આવી સ્થિતિમાં હાનિકારક UV-A અને UV-B કિરણો આંખોના અંદર વધુ ઊંડે સુધી પહોંચી શકે છે. લાંબા સમય સુધી આવું થવાથી આંખોના લેન્સ અને રેટિના પર પ્રતિકૂળ અસરો થઈ શકે છે.

સતત વધુ UV એક્સપોઝર આંખોમાં મોતીબિંદુ, રેટિના ડેમેજ અને મેક્યુલર ડિજનેરેશન જેવી સમસ્યાઓનો ખતરો વધારી શકે છે. કેટલાક કેસોમાં રેટિનાને થયેલું નુકસાન કાયમી પણ થઈ શકે છે. તેથી માત્ર ડાર્ક ગ્લાસ પહેરવો પૂરતો નથી, સાચી સુરક્ષા ત્યારે જ મળે છે જ્યારે ચશ્મામાં UV400 પ્રોટેક્શન હોય.

UV400 પ્રોટેક્શનવાળા સનગ્લાસ UVA અને UVB બંને કિરણોને બ્લોક કરવા માટે બનાવવામાં આવેલા હોય છે. તે હાનિકારક UV કિરણોને રોકે છે. જેથી તે રેટિના અને આંખોના લેન્સને નુકસાન ન પહોંચાડી શકે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.