
વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) નું માનવું છે કે, જૂન 2027 સુધીમાં BSE સેન્સેક્સ 1 લાખના સ્તર સુધી પહોંચી શકે છે. જો કે, તેની શક્યતા માત્ર 25% જ છે. બ્રોકરેજે આને પોતાનો બુલ કેસ (Bull Case) ગણાવ્યો છે. જો મોટાભાગની બાબતો બજારની તરફેણમાં રહેશે, તો આ લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શકે છે.

મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે, આ અંદાજ કેટલીક મહત્વપૂર્ણ પરિસ્થિતિઓ પર આધારિત છે. આમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે રહે, અર્થતંત્રને ગતિ આપનારી નીતિઓની અસર દેખાવા લાગે, નાણાકીય વર્ષ 2026 થી વર્ષ 2029 વચ્ચે કંપનીઓની કમાણીમાં દર વર્ષે સરેરાશ 19% નો વધારો થાય, તેવી બાબતોનો સમાવેશ થાય છે. બ્રોકરેજનું એવું પણ કહેવું છે કે, ભારતીય શેરબજારના વેલ્યુએશનમાં જે ઘટાડો આવ્યો છે, તે કાયમી નથી. આ એક ચક્રીય (Cyclical) ઘટાડો છે. ટૂંકમાં, જેમ-જેમ ગ્રોથ ઝડપી બનશે, તેમ-તેમ બજારના વેલ્યુએશનમાં પણ સુધારો આવી શકે છે.

મોર્ગન સ્ટેનલીએ જૂન 2027 સુધીમાં સેન્સેક્સ 89,000 અંક સુધી પહોંચવાની 50% શક્યતા દર્શાવી છે. આને તેણે પોતાનો બેઝ કેસ (Base Case) માન્યો છે. બ્રોકરેજના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિદ્ધમ દેસાઈ અને નયંત પારેખનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારનું પ્રદર્શન નબળું રહ્યું છે. વિદેશી રોકાણકારો (FPI) ની હિસ્સેદારી પણ ઘટી છે. આવી સ્થિતિમાં જો સંજોગો સુધરશે, તો ભારતીય શેરબજારમાં સારી તેજી જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ભારતનો આર્થિક ગ્રોથ હવે નીચલા સ્તરેથી બહાર આવતો દેખાઈ રહ્યો છે. ધીમે-ધીમે તેમાં સુધારો પણ આવી રહ્યો છે. જો કે, ભારત હજી પણ એવા દેશો કરતાં પાછળ છે, જેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર થઈ રહેલા મોટા રોકાણનો ફાયદો મળી રહ્યો છે.

એવામાં સૌથી મોટો સવાલ એ છે કે, રોકાણકારો ભારત અને વિશ્વના ગ્રોથ વચ્ચેના તફાવતને કેવી રીતે જુએ છે? જો વિશ્વમાં AI પરના ખર્ચ અંગેનો ઉત્સાહ ઓછો થાય અને બીજી તરફ ભારતનો ગ્રોથ ઝડપી બને, તો બજારનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, જૂન ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) ના પરિણામો બજારને નવી દિશા આપી શકે છે. બ્રોકરેજને આશા છે કે, મજબૂત આર્થિક સંકેતોને કારણે કંપનીઓના પરિણામો અંદાજ કરતાં વધુ સારા રહી શકે છે. રોકાણકારોની નજર ચોમાસા પર પણ રહેશે. જો કે, મોર્ગન સ્ટેનલીને તેની બહુ ચિંતા નથી.

બ્રોકરેજનું કહેવું છે કે, ભારતમાં ઘણા મોટા સુધારા ચાલી રહ્યા છે. આનાથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) માટે રોકાણ કરવાનું સરળ બની શકે છે. IPO ની વધતી સંખ્યા પણ બજારને સપોર્ટ આપી શકે છે. જો એકાએક IPO નો આવી જાય, તો તેની ઊંધી અસર પણ પડી શકે છે. હાલમાં મોર્ગન સ્ટેનલીને આગામી કેટલાક મહિનાઓ સુધી આવો કોઈ ખતરો દેખાતો નથી. મોર્ગન સ્ટેનલીને સ્થાનિક માંગ સાથે જોડાયેલા સેક્ટર્સ વધુ પસંદ છે. બ્રોકરેજે ફાઇનાન્સિયલ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર પર ઓવરવેઇટ (Overweight) રેટિંગ આપ્યું છે.

બીજી તરફ એનર્જી, મટીરિયલ્સ, યુટિલિટીઝ અને હેલ્થકેર સેક્ટરને લઈને તેનો અભિપ્રાય બહુ સકારાત્મક નથી. આ સેક્ટર્સ પર અંડરવેઇટ (Underweight) રેટિંગ આપવામાં આવ્યું છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, આઈટી સર્વિસીસ (IT Services) સેક્ટર આગામી સમયમાં સૌથી મોટો સરપ્રાઈઝ આપી શકે છે. વિશ્વભરની કંપનીઓ AI એપ્લિકેશન અને સોલ્યુશન બનાવવા માટે ભારતીય આઈટી કંપનીઓનો વધુ ઉપયોગ કરી શકે છે. જો કે, કેટલાક જોખમો પણ છે. આમાં Geo-political ટેન્શન, વૈશ્વિક અર્થતંત્રની સુસ્તી, કૃષિ ઉત્પાદકતામાં નબળાઈ, ન્યાયિક વ્યવસ્થામાં ક્ષમતાની અછત અને AI ના કારણે રોજગાર બજાર પર પડનારી અસર સંકળાયેલ છે.