
30 જુલાઈથી શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થવાનો છે. આ મહિનો ભગવાન શિવની ભક્તિ અને સાધના માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ સિવાય શ્રાવણ સોમવારના દિવસે વ્રત કરવાથી ભક્તોને મનવાંચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે. ખાસ વાત એ છે કે, ઘણા ભક્તો આખા શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખે છે.

ધાર્મિક માન્યતા છે કે, જે પણ ભક્તો આખા શ્રાવણ દરમિયાન નિયમ અને નિષ્ઠા સાથે વ્રત, પૂજા-પાઠ કરે છે તેમને જીવનના તમામ દુઃખ-દર્દ અને મુશ્કેલીઓમાંથી રાહત મળી જાય છે. જો તમે પણ આખા મહિને વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેના નિયમો જાણી લો. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.

જો તમે આખા શ્રાવણ મહિનાનું વ્રત રાખી રહ્યા છો, તો સાત્વિક આહાર જ ગ્રહણ કરો. જો ફળાહાર કરી રહ્યા છો, તો તે પણ એક જ સમય (સૂર્યાસ્ત પછી) કરો. જો એક સમય માટે ભોજન કરી રહ્યા છો, તો તેમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરો. ધ્યાન રાખો કે, ડુંગળી-લસણનો ઉપયોગ ભૂલથી પણ ન કરો.

આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવાર-સાંજ સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા-અર્ચના કરો. શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ધતૂરો અને અક્ષત (ચોખા) અર્પિત કરીને 'ઓમ નમઃ શિવાય' નો જાપ કરો.

શ્રાવણના પહેલા દિવસે સવારે ઊઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી લો. ત્યારબાદ શિવજીની વિધિવત પૂજા કરો. આ પછી અક્ષત (આખા ચોખા) અને ફૂલ લઈને આખા શ્રાવણ મહિનાના વ્રતનો સંકલ્પ લો. આ દરમિયાન તમે તમારી મનોકામના પણ બોલી શકો છો. જો તમે ફળાહાર પર શ્રાવણનું વ્રત કરવાના છો, તો આ દરમિયાન ફળ, જ્યુસ, દૂધમાંથી બનાવેલી વાનગીઓ, મખાના, ચા કે કોફી વગેરેનું સેવન કરી શકાય છે.

શ્રાવણના વ્રતમાં તમે રાજગરા/સિંગોડાનો લોટ, સાબુદાણા, સામો, મખાના અને શક્કરિયાં ખાવામાં લઈ શકો છો. આ સિવાય દૂધીનો હલવો, ડ્રાયફ્રૂટ્સ, દૂધ, દહીં અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ પણ લઈ શકાય છે. રસોઈમાં સિંધવ મીઠું, જીરું, આદું અને લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. વધુમાં પીણાંમાં ચા અને કોફી લઈ શકો છો. ફળોમાં કેળાં, સફરજન, પપૈયું અને દાડમ જેવા મોસમી ફળો ખાવામાં લઈ શકો છો.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિવલિંગ પર દૂધ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ ન કરો. તેના બદલે પીતળ, ચાંદી કે કાંસાના વાસણનો ઉપયોગ કરો. આ સિવાય શિવલિંગ પર ભૂલથી પણ હળદર ન ચઢાવો, માત્ર ચંદન જ લગાવો. શિવજીની પૂજામાં તુલસી ચઢાવવી વર્જિત ગણાય છે, તેથી પૂજામાં તુલસી ન મૂકો. આ સાથે જ શિવલિંગ પર કેતકીના ફૂલ પણ ક્યારેય ન ચઢાવો.
Published On - 1:43 pm, Sat, 25 July 26