
ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયાના યુવા બેટર વૈભવ સૂર્યવંશીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે વૈભવનું વધતું પ્રદર્શન હવે ભારતીય ટીમના ટોપ ઓર્ડરના ખેલાડીઓ માટે પડકાર બની રહ્યું છે. ખાસ કરીને સંજૂ સેમસન અને અભિષેક શર્માએ પોતાની જગ્યા જાળવી રાખવા માટે સતત સારું પ્રદર્શન કરવું પડશે.(Image Credit: cricinfo)

આયરલેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ બીજી ટી20 મેચ માટે વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની માંગ વધુ જોર પકડી રહી છે. જોકે સંજય માંજરેકરનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં ટોપ ઓર્ડરમાં કોઈ જગ્યા ખાલી નથી.

માંજરેકરે જણાવ્યું કે હાલમાં ઓપનિંગની જવાબદારી અભિષેક શર્મા અને સંજૂ સેમસન સંભાળી રહ્યા છે. વૈભવ સૂર્યવંશી પ્રતિભાશાળી ખેલાડી છે અને બંને પર દબાણ બનાવી રહ્યા છે, પરંતુ માત્ર એક મેચના આધારે ટીમમાં મોટા ફેરફાર કરવાની જરૂર નથી.

તેમણે વધુમાં કહ્યું કે જો વૈભવ પ્રથમ મેચમાં રમ્યા હોત તો કદાચ શરૂઆતની ઓવરોમાં ઝડપી બેટિંગ કરી શક્યા હોત, પરંતુ મેચનું પરિણામ બદલાઈ જાય તેવી શક્યતા ઓછી હતી. લક્ષ્ય ઘણું મોટું હતું અને આવી પરિસ્થિતિમાં કોઈપણ યુવા બેટર માટે સતત આક્રમક બેટિંગ કરવી સરળ નથી. માંજરેકરે એ પણ યાદ અપાવ્યું કે દાંબુલામાં રમાયેલી ટ્રાઇ સિરીઝ દરમિયાન પણ વૈભવને મોટા શોટ્સ રમવામાં મુશ્કેલી પડી હતી. તેથી તેમને હજુ થોડો વધુ અનુભવ મેળવવાની જરૂર છે.

પૂર્વ ક્રિકેટરે સંજૂ સેમસનનું સમર્થન કરતાં કહ્યું કે એક ખરાબ ઇનિંગ્સના આધારે તેમને ટીમમાંથી બહાર કરવાની જરૂર નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે હાલ તેઓ સંજૂ સેમસન અને ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં જ રાખશે અને વૈભવ સૂર્યવંશીને યોગ્ય તક મળવાની રાહ જોવી જોઈએ. આગામી ટી20 મેચમાં ભારતીય ટીમની પસંદગી પર સૌની નજર રહેશે. હવે જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ અનુભવને પ્રાથમિકતા આપે છે કે પછી યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીને તક આપે છે.