
હિન્દુ ધર્મમાં જમાઈને ખૂબ જ માન-સન્માન આપવામાં આવે છે. જો કે, દેશના એક રાજ્યમાં જમાઈની લાંબી ઉંમર માટે સાસુ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉપવાસ રાખે છે. સરળ રીતે કહીએ તો, ભારતના આ રાજ્યમાં જમાઈની લાંબી ઉંમર માટે 'જમાઈ ષષ્ઠી' વ્રત રાખવામાં આવે છે.

સૌથી પહેલા વાત કરીએ કે, જમાઈ ષષ્ઠી વ્રત ક્યારે રાખવામાં આવે છે? જણાવી દઈએ કે, દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના દિવસે જમાઈ ષષ્ઠી વ્રત રાખવામાં આવે છે. આ અનોખો તહેવાર બંગાળમાં ઉજવવામાં આવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં તેનું વિશેષ સ્થાન છે. પંચાંગ અનુસાર, આ વર્ષે જમાઈ ષષ્ઠી 20 જૂન 2026 ના રોજ ઉજવવામાં આવશે.

'જમાઈ ષષ્ઠી' મુખ્યત્વે બંગાળી સંસ્કૃતિમાં ઉજવવામાં આવતો એક ખૂબ જ અનોખો અને સુંદર તહેવાર છે. આ તહેવાર ઘરના જમાઈને સમર્પિત છે. તેની પાછળ ઘણા સામાજિક, સાંસ્કૃતિક અને પૌરાણિક કારણો છુપાયેલા છે.

પરંપરાગત ભારતીય સમાજમાં જમાઈને આદરણીય સ્થાન આપવામાં આવ્યું છે અને બંગાળમાં ઉજવવામાં આવતા જમાઈ ષષ્ઠી તહેવાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જમાઈનો આદર-સત્કાર કરવાનો તેમજ તેમને એવો અહેસાસ કરાવવાનો છે કે, તેઓ આ પરિવારનો એક અભિન્ન હિસ્સો છે. જમાઈ ષષ્ઠીનો તહેવાર બંને પરિવારો વચ્ચેના સંબંધોને વધુ મધુર અને મજબૂત બનાવે છે.

જૂના સમયમાં જ્યારે પરિવહનના સાધનો મર્યાદિત હતા અને લગ્ન પછી દીકરીઓ બહુ દૂર ચાલી જતી હતી. એવામાં દૂરથી પિયર આવવા માટે ઘણું વિચારવું પડતું હતું. કહેવાય છે કે, એટલા માટે સામાજિક નિયમો હેઠળ આ તહેવારની શરૂઆત કરવામાં આવી હતી, જેથી 'ષષ્ઠી પૂજા'ના બહાને જ દીકરી તેમજ જમાઈને આદરપૂર્વક પિયર બોલાવી શકાય અને આખો પરિવાર સાથે સમય વિતાવી શકે.

જમાઈ ષષ્ઠીનો આ અનોખો તહેવાર માત્ર ખાવા-પીવાનો ઉત્સવ નથી પરંતુ ધાર્મિક રીતે આ 'મા ષષ્ઠી'ને સમર્પિત છે. 'મા ષષ્ઠી'ને બાળકો અને પરિવારની રક્ષક દેવી માનવામાં આવે છે. આ દિવસે સાસુ પોતાના જમાઈની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને દીકરીના સંતાનની ખુશહાળી માટે વ્રત રાખે છે.